Crime: રાજકોટમાંથી વધુ એકવાર ક્રાઇમની હાઇ પ્રૉફાઇલ ઘટના સામે આવી છે. રાજકોટમાં પોલીસના દરોડામાં મહિલાઓ જુગાર રમતા ઝડપાઇ છે, અહીં એક મકાનમાં જુગારધામ ચાલતુ હતુ, પોલીસની દરોડા દરમિયાન અહીંથી જુગાર રમતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. 


માહિતી પ્રમાણે, રાજકોટમાં ગઇકાલે ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવતા મોટી કાર્યવાહી કરી હતી, આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જુગારના અડ્ડાઓ દરોડા પાડ્યા હતા. ખાસ વાત છે કે, જ્યારે પોલીસે દરોડા પાડ્યા તે સમયે રાજકોટમાં આજી ડેમ પાસે માનસરોવર પાર્કમાં એક મકાનમાં મહિલાઓ દ્વારા સંચાલિત જુગારધામ પકડાયુ હતુ, આ જુગારધામમાંથી 14 મહિલાઓ રંગેહાથે ઝડપાઇ હતી. આ જુગારધામ એક મકાનમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતુ હતુ. 


રાજકોટમાં કામવાળીએ પ્રેમી સાથે મળી લૂંટ્યા હતા 15 લાખ, પોલીસે માત્ર 36 કલાકમાં આરોપીઓને ઝડપ્યા


રાજકોટમાં કોહિનૂર એપાર્ટમેન્ટમાં થયેલી 15 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટના પોશ વિસ્તારમાં ધોળેદહાડે લાખોના લૂંટની ઘટના બની હતી. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધાને બંધક બનાવીને 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે પોલીસે ફક્ત 36 કલાકમાં લૂંટમાં સામેલ નેપાળની કામવાળી અને તેના પ્રેમી સહિત ત્રણને દબોચી લીધા હતા. મળતી માહિતી અનુસાર, 15 લાખની લૂંટ ચલાવી જૂનાગઢમાં છૂપાયેલા નેપાળી કામવાળી અને તેન પ્રેમી સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી હતી. વાસ્તવમાં કામવાળી અને તેના સાગરિતો લૂંટ ચલાવી રાજકોટથી જૂનાગઢ પહોચ્યા હતા. આ માટે તેઓએ ત્રણ રિક્ષા બદલી અને ખાનગી બસમાં બેઠા હતા. એટલું જ નહી પોલીસથી બચવા માટે કામવાળીના પ્રેમીએ દાઢી મૂંછ મુંડાવી નાખ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા માટે 200 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આખરે પોલીસે જૂનાગઢ ભવનાથમાં 50 જેટલી ધર્મશાળા ,હોટલ, ગેસ્ટ હાઉસમાં તપાસ બાદ ધરપકડ કરી હતી. વાંઝા જ્ઞાતિની વાડીમાં 6 ટીમના 40 થી વધુ પોલીસ ત્રાટક્યા હતા.


રાજકોટમાં બીજેપી નેતાએ કર્યું ફાયરિંગ, પોલીસે અટકાયત કરતા અગ્રણીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને


રાજકોટ: શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. મંત્રી લખેલ ગાડીમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું છે. બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા છે. પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયાના પુત્ર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. કયા કારણે ફાયરિંગ કરવામાં આવ્યું તે બાબતે ભક્તિનગર પોલીસે તપાસ શરુ કરી છે. ઘટનાની જાણ થતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સહિતના અગ્રણીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. નરેન્દ્ર ડવે કહ્યું કે, કરણ સોરઠીયા યુરીનલ કરવા માટે ગયા હતા ત્યારે યુરીનલ બંધ કરવામાં આવતું હતું. યુરીનલમાં રહેલા કર્મચારીઓ અને કરણ વચ્ચે બોલાચાલી થઈ અને કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ભક્તિનગર પોલીસ દ્વારા કરણ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે.