આજથી રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારોની હડતાળ પર ઉતર્યા હતા. મળતી જાણકારી અનુસાર, રાજ્યના ગરીબોની દિવાળી બગડી શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે વચન ન પાળતા આખરે સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે. દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે દિવાળી સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.


સસ્તા અનાજના દુકાનદારોનો દાવો છે કે આ પહેલા અસરકાર આંદોલન કરવામાં આવ્યું હતુ ત્યારે સરકારે વચન આપ્યું હતું કે ત્રણસોથી ઓછા રાશન કાર્ડ હશે તે દુકાનદારને મહિને વીસ હજાર રુપિયા આપવામાં આવશે. જો કે હજુ સુધી સરકારે આ વચન પૂર્ણ કર્યું નથી. આ જ પ્રમાણે અનાજની ઘટ સમસ્યા મુદ્દે પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી. એક બોરીએ ત્રણથી ચાર કિલો અનાજની ઘટ પડી રહી છે જેના પરિણામે દુકાનદારોને આર્થિક ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારોને કમિશનની આવક થઇ રહી નથી અને પોતાના ખિસ્સામાંથી દુકાનદારોએ રૂપિયા આપવા પડે છે. નિયમિત રીતે અનાજનો જથ્થો પણ મળતો નથી.


એટલું જ નહીં ડિજીટલાઈઝેશનના કારણે અનેક જગ્યાએ સર્વરના પણ ઠેકાણા હોતા નથી. દરરોજ સર્વર ખોટકાય જવાની ઘટના બનતી રહે છે ત્યારે રાશન કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ઝઘડા પણ થાય છે. ત્યા આ તમામ સમસ્યાનો સરકાર ઉકેલ લાવે તેવી માંગ સાથે સરકાર સામે દુકાનદારોએ બાંયો ચઢાવી હતી.


અમરેલીમાં દિવાળીના તહેવારો પર જ સસ્તા અનાજની દુકાનો બંધ થઇ ગઇ છે. અમરેલી જિલ્લાના 572 જેટલા દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા. દુકાનદારો ની પડતર માંગણીઓ નહી સંતોષાતાં આખરે હડતાળ પર ઉતર્યા હતા. જિલ્લાના દુકાનદારો હડતાલ પર ઉતરતા આંગણવાડી અને મધ્યાહન ભોજન કેન્દ્રો પર અસર પડી શકે છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. અનાજનો જથ્થો સમયસર અને પૂરતો આપવો, રૂપિયા ૨૦૦૦૦ કમિશન ખાતામાં સમયસર જમા કરવું. ફિંગરપ્રિન્ટ નહિ આવતા રેશનકાર્ડ ધારકો સાથે ઘર્ષણ ન થાય તે માટે સર્વરની ખામી દૂર થાય સહિતની માંગો પુરી ન થતા આજથી હડતાળમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની અંદાજે ૧૫૦ થી વધુ અને જિલ્લાની ૫૦૦ થી વધુ સસ્તા અનાજની દુકાનદારો હડતાળમાં જોડાયા  હતા. સસ્તા અનાજની ૫૩૬ દુકાનો આજથી બંધ રહેશે. સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને પગલે રેશનકાર્ડ ધારકોને દિવાળી ટાણે જ અનાજ નહિ મળતાં રોષ ફેલાયો હતો.


રાજકોટ જિલ્લાની જેતપુર તાલુકા ની તમામ સસ્તા અનાજની દુકાનના માલિકો હડતાલમા જોડાયા હતા. જેતપુરની 75 જેટલી સસ્તા અનાજની દુકાનોના માલિક પડતર માંગણીને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે. 20 હજાર પગારની માંગણી સાથે જેતપુરના 75 સસ્તા અનાજની દુકાનોના માલિકો હડતાલ ઉપર ઉતર્યા હતા.