Rajkot: રાજકોટ જિલ્લાનાં વીંછીયામાં એ સમયે ચકચાર મચી ગઈ જ્યારે તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ પોતાના માથા જ ધડથી અલગ કરી નાંખ્યા. હેમુભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબહેને પોતાના ખેતરમાં કમળ પૂજા કરી.  આ માટે તેમણે એક માંચડો બનાવ્યો હતો. જેમાં ધારદાર અને વજનદાર કરવત લગાવી હતી. આ કરવત સાથે દોરી બાંધી હતી.  જેવી દોરી કાપી કે તરત જ ધારદાર કરવત નીચે પડી અને તેની ઠીકે નીચે પોતાનું ગળું રાખીને સૂતા હેમુભાઈ અને તેમના પત્ની પર પડી. ગળા પર કરવત પડતાં જ બંનેનું માથું ધડથી અલગ થઈ ગયું. હંસાબેનનું માથું તો સીધું હવન કૂંડમાં પડતાં સળગી ગયું. જ્યારે હેમુભાઈનું માથું હવન કૂંડની બહાર પડ્યું હતું.


પરિવારજનોના અનુસાર, પતિ-પત્ની છેલ્લા 2 મહિનાથી ખેતરમાં પૂજા કરતાં હતા. ગઈકાલે રાત્રે ફૂલ લઈને બંને વાડીએ જતાં દેખાયા હતા. બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. આગલા દિવસે જ સંતાનને તેઓ મામાના ઘરે મૂકી આવ્યા હતા. પરિવારજનોનો અનુસાર પરિવારમાં કોઈ આર્થિક મુશ્કેલી નહતી. તો ભાઈઓમાં કોઈ વિવાદ પણ ન હતો. હાલ તો બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી. પોલીસે તપાસ શરૂ કરી છે.


વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. પતિ પત્નીની બન્નેની બે સુસાઈડ નોટ પણ ટીંગાળેલી હતી સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. સૌથી મોટો સાવલ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ  મકવાણાએ કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું હોવાની વાતને લઈને ચકચાર મચી જવા પામી છે. રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્નીએ મસ્તક હોમી દીધા.


વડોદરામાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે દુષ્કર્મ


તો આ તરફ વડોદરામાં તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે અને ચાર વર્ષથી મહિલાનું શારીરિક શોષણ કરતા મામલો પોલીસ સ્ટેશન પોહોચ્યો છે. આરોપ છે કે મહિલાઓને પોતે તાંત્રિક હોવાની ઓળખ આપી અને જો મહિલાઓ તાબે ન થાય તો બદનામ કરવાની ધમકી આપતો હતો. કોવીડના લોકડાઉનના સમયમાં મહિલાને ભાવનગર લઈ જવાઈ. જ્યાં કામવાળી તરીકે તેને રાખી તેને પરેશાન કરવામાં આવતી હતી હોવાનો પણ આરોપ લાગ્યો છે. હાલ તો ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.