રાજકોટઃ રાજકોટ-કુવાડવા રોડ પર આવેલા કુચિયાદડના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. નાના ભાઇએ જ મોટાભાઇની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે.નાના ભાઇના લગ્ન થઇ ગયા હોવાથી ગત રાત્રીએ મોટાભાઇએ ઝધડો કર્યો હતો. પોલીસે હત્યારા ભાઇને સકંજામાં લીધો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, મોટાભાઈ પહેલા નાનાભાઈના લગ્ન થઈ જતાં મોટા ભાઈને લાગી આવ્યું હતું. જેનું મનદુઃખ રાખીને મોટા ભાઈ નાના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નાના ભાઈના હાથે મોટા ભાઈની હત્યા થઈ ગઈ હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે હત્યારા ભાઈને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, લગ્નના મનદુઃખમાં હત્યા થઈ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 


શિહોરીઃ બનાસકાંઠાના શિહોરી ગામમાં આજે ધોળા દિવસે દાદી પૌત્રની હત્યા થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. આ હત્યાકાંડમાં પોલીસને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને સંપૂર્ણ હત્યાકાંડનો પર્દાફાશ કરી નાંખ્યો છે. ઘરમાં જ દાદી-પૌત્રનું ગળું કાપી નિર્મમ હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જેને શિહોરી પોલીસ સહિત ડોગ સ્કોડ  અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓનું પગેરુ શોધી કાઢ્યું હતું અને તેને જેલ હવાલે કરી દીધો હતો. 


 


આરોપીની સઘન પુછપરછ કરતાં મુકેશ કાનજીભાઈ રાવલે કબૂલાત કરી હતી કે, પોતાની પત્નીને મૃતક સુશીલાબેનનો દીકરો આઠ મહિના પહેલા ભગાડી ગયો હતો. જેનું મનદુઃખ રાખીને આ હત્યા કરી નાંખી હતી. પોલીસે આ કબૂલાતને આધારે આજે બપોરે 1 વાગ્યે આરોપીની અટકાયત કરી હતી.


 



નોંધનીય છે કે, કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે એક રહેણાંક મકાનમાં દાદી સુશીલાબેન સાધુ (ઉ.વ. 47)  અને પૌત્ર ધાર્મિક (ઉં.વ.6)ની હત્યા થઈ હોવાની ઘટના બની હતી. ચીરાગભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા. તે દરમિયાન આજે ચિરાગભાઈએ તેમની માતા અને પુત્રના ખબર અંતર પૂછવા માટે મોબાઈલ પર કોલ કર્યો હતો, પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જ પ્રત્યુતર ન મળતા ચિરાગભાઈએ બાજુમાં રહેતા તેમના સંબંધીઓને ફોન કરી તેમની માતાને જાણ કરવા જણાવ્યું હતું. 


 


બાજુમાં રહેતા તેમના સંબંઘી જાણ કરવા જતાં ઘરમાં જતા સુશીલાબેન અને તેમના પૌત્ર ધાર્મિકની હત્યા કરાયેલી લાશ જોવા મળતા જ તેઓ ડઘાઈ ગયા હતા અને તરત જ જાણ કરતા આજુબાજુના લોકો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. શિહોરીમાં મંદિર પાસે જ ભરચક વિસ્તારમાં દિન-દહાડે દાદી અને પૌત્રનું તિક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નિર્મમ હત્યા કરી આરોપી ફરાર થઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.