Rajkot : રાજકોટ જિલ્લામાં સારો વરસાદ (Rain in Rajkot) પડતા  આજી-2 ડેમમાં નવા નીરની આવક થઇ છે, જેના કારણે આજી-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ આજી-2 ડેમના 3 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યાં છે. આજી-2 ડેમમાં 2034 ક્યુસેક પાણીના પ્રવાહની આવક થઇ રહી છે જેની સામે હાલમાં ડેમમાંથી 2034 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. 


ડેમની હેઠવાસના ગામોને સાવચેત કરાયા 
આજી-2 ડેમના 3 દરવાજા ખોલવા આવતા ડેમના નિચાણમાં આવતા ગામોને સાવચેત કરવામાં આવ્યાં છે. ડેમની હેઠવાસમાં પડધરી તાલુકાના  અડબાલકા, બાધી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, નારણકા, જુના નારણકા, હરીપર,ખંઢેરી, નાગરકા અને ઉકરડા તથા ટંકારા તાલુકાના સખપર અને કોઠારીયા ગામોના રહેવાસીઓને નદીના પટમાં અવર - જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં  આવી છે. 


રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ 
રાજકોટ શહેરમાં આજે 26 જૂને બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભારે પવન સાથે વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. આ ઉપરાંત વીજપોલ પણ ધરાશાયી થયા હતા.શહેરના સંત કબીર રોડ પર વૃક્ષ પડતા ઓટો રીક્ષા અને બાઈક ચાલક દબાયા હતા..જેમાં ત્રણ લોકોનો આબાદ થયો હતો.આ ઘટના બાદ સંત કબીર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.સ્થાનિક લોકોએ બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી વૃક્ષો ખસેડી ટ્રાફિક કલિયર કરાવ્યો હતો.


આ ઉપરાંત રેસકોસ ગ્રાઉન્ડ નજીક ગેલેક્સી ટોકીઝ પાસે પણ ઝાડ તૂટી પડયું હતું.આ વૃક્ષ પડવાના કારણે નીચે રહેલી કારને નુકસાન થયુ હતું.આ ઉપરાંત ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે ભારે પવનના કારણે વિજપોલ ધરાશાયી થતા એક કારને નુકસાન થયું હતું.આ ઘટનામાં કારમાં બેસેલા વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.