જેતલસરઃ રાજકોટના જેતપુર તાલુકાના જેતલસરમાં એક તરફી પ્રેમમાં પાગલ 24 વર્ષીય યુવકે 16 વર્ષની છોકરીની જાહેરમાં છરીના ઉપરાછાપરી 32 ઘા મારી હત્યા કરતાં ખળભળાટ મચ્યો છે. છોકરીને  બચાવવા માટે વચ્ચે પડેલા 14 વર્ષના ભાઈને પણ હુમલાખોરે છરીના ઘા ઝીંકી દીધા હતા.


પોલીસે જણાવ્યું કે જેતલસર ગામે  જયેશ  ગિરધરભાઈ સરવૈયાએ  સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણીની હત્યા કરી નાખી હતી.  સૃષ્ટિ જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં  અભ્યાસ કરતી હતી. સૃષ્ટિ  હાઈસ્કૂલે જતી  ત્યારે આરોપી તેની પાછળ જઈને તેને હેરાન પરેશાન કરતો. જયેશ  તેને પોતાની સાથે લગ્ન કરવા માટે કહેતો હતો. છોકરીએ પોતાના માતા-પિતાને વાત કરતાં તેના પિતાએ જયેશના પિતા ગિરધરભાઈ સરવૈયાને પોતાના પુત્રને સમજાવવા વાત કરી હતી. સૃષ્ટિના પિતા ફરિયાદ કરવા ગયા તે બાબતનો ખાર રાખી આરોપી જયેશે  હત્યા કરી દીધી હોવાનું  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. 


મંગળવારે બપોરે સૃષ્ટિના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને માતા શીતલબેન ગામથી દૂર આવેલી વાડીએ મજૂરી કરવા માટે ગયા હતા.  સૃષ્ટિ અને તેનો ભાઈ બહેન એકલા પડતાં ઘરમાં ઘૂસી જઇ જયેશે છોકરીને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી.  તેને 'તું મારી સાથે લગ્ન કર' તેવી જબરજસ્તી કરી હતી. છોકરીએ વારંવાર ના પાડતાં તેને ઢોરમાર માર્યો હતો અને પછી  જાહેરમાં છરી કાઢીને તેના શરીરે અસંખ્ય ઘા માર્યા હતા. તેનો ભાઈ હર્ષ (ઉ.વ.14) પોતાની બહેનને બચાવવા  આડો પડયો હતો. આરોપીએ  છરીના પાંચ ઘા તેને પણ ઝીંકી તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. 


ઝનૂની બનેલા આરોપીએ બીજાં લોકો પર પણ હુમલો કર્ય હતો.  લોકોએ હર્ષને પાડોશીના ઘરમાં છુપાવી દીધો હતો. પાડોશના લોકોએ બૂમાબૂમ કરી મૂકતા જયેશ છોકરીને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી નાસી છૂટયો હતો. નાસી છૂટેલા આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.