મોરબીઃ મોરબીની વાંકાનેર પાલિકામાં સ્પષ્ટ બહુમતી છતાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપમાંથી રાજીનામું આપનારા સભ્યો વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા છે અને પાલિકામાં સત્તા કબ્જે કરી છે. ભાજપને સમપૂર્ણ બહુમતી મળી હોવા છતાં પાલિકા અપક્ષના ફાળે ગઈ છે. 


પ્રમુખ તરીકે જયશ્રીબેન સેજપાલ અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી થઈ છે. ચૂંટાયેલા ભાજપના 16 સભ્યો એ રાજીનામાં ધરી દીધા બાદ તેઓ અપક્ષ તરીકે મતદાન કર્યું હતું. 15 સભ્યોની બહુમતીથી પાલિકા પર અપક્ષનો કબ્જો થયો છે. 15 સભ્યોએ ભાજપના મેન્ડેટનો અનાદર કરી ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. સત્તાની ખેંચતાણમાં ભાજપે પાલિકા ગુમાવી છે. 
 
વાંકાનેર પાલિકાની આજે સામાન્ય સભા મળે તે પહેલા જ ભાજપમાં ખુલ્લો બળવો થયો હતો. સામાન્ય સભામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત થશે, તે પહેલા બળવો થયો હતો. સભા શરૂ થાય તે પહેલાં 16 સભ્યોને ભાજપના મેન્ડેડ આપવામાં આવ્યા હતા. પરંતુ 24માંથી 16 સભ્યોએ ભાજપનું મેન્ડેડ સ્વીકાર્યું નહોતું. તેમજ પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત થાય તે પહેલાં રાજીનામાં પડ્યા હતા. 


પાલિકના ચૂંટાયેલા ભાજપના 16 સભ્યોએ રાજીનામા ધરી દીધા હતા. સર્વ સંમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામ નક્કી કરવામાં આવેલ, પરંતુ પક્ષ દ્વારા જે નામ જાહેર કરવામાં આવે તેને પ્રમુખ-ઉપપ્રમુખ બનાવવામાં આવશે તેમ કહી નામ જાહેર નહીં કરતા સભ્યો નારાજ થયા હતા. 
ભાજપના ચૂંટાયેલા 24 સભ્યોમાંથી 16 સભ્યોએ રાજીનામા આપ્યા હતા. 


વાંકાનેર શહેર ભાજપ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. જિલ્લા પ્રમુખે પોતાને આવો કોઈ પત્ર મળ્યો હોવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વાંકાનેર શહેર પ્રમુખનો કોન્ટેકટ કરવાનો પ્રયાસ કર્યો પણ તેમનો ફોન બંધ આવી રહ્યો હતો.