રાજકોટમાં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનારા લોકોને પકડી પોલીસે આટલા કરોડ રૂપીયા વસૂલ કર્યા ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Dec 2020 08:07 AM (IST)
રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રિ કર્ફ્યુનો નિયમ લાગુ થયો છે. એક મહિના દરમિયાન જાહેરનામા ભંગ બદલ 4 હજાર 626 કેસ નોંધવામાં આવ્યાં.
પ્રતિકાત્મક તસવીર
રાજકોટ: રાજકોટમાં લોકોએ જાહેરમાં થૂંકીને અને માસ્ક ન પહેરીને પોલીસની તીજોરી ભરી દીધી છે. લોકડાઉનથી લઈને અનલોક-7માં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનારા 16 હજાર 888 લોકોને પોલીસે પકડી 16 કરોડ 88 લાખ રૂપીયા વસૂલ કર્યા છે. રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રિ કર્ફ્યુનો નિયમ લાગુ થયો છે. એક મહિના દરમિયાન જાહેરનામા ભંગ બદલ 4 હજાર 626 કેસ નોંધવામાં આવ્યાં. રાત્રિના સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ 233 કેસ નોંધાયા. કોઈ કારણ વગર રાત્રે નીકળેલા અથવા તો વધુ પેસેન્જરો સાથે નીકળેલા વાહનો મળીને કુલ 4 હજાર 5 વાહનો ડિટેઈન કરવામાં આવ્યાં છે. કર્ફ્યૂના સમયમાં પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી ઘરની બહાર નીકળતા લોકોને પકડી રહી છે. એટલું જ નહીં શેરી, ગલી તેમજ સોસાયટીઓમાં બહાર નીકળતા લોકોને ડ્રોનના માધ્યમથી ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂમાં ડ્રોન કેમેરા અને CCTV મારફત પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં જાહેરનામા ભંગ, સોશિયલ ડિસ્ટન્સ ભંગ સહિતના ગુના દાખલ કરવામાં આવી રહ્યાં છે.