Rajkot:  સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને લસણના સારા ભાવ મળતા ખુશીનો માહોલ છે. ખેડૂતોને લસણના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણના એક મણનો ભાવ 2500થી લઈને 3,500 સુધી પહોંચ્યો છે. છેલ્લા આઠ દિવસમાં લસણના ભાવમાં 500 થી 700 રૂપિયાનો વધારો થયો છે. રાજકોટ યાર્ડમાં રોજ આઠથી નવ હજાર મણ લસણની આવક થઇ રહી છે.


છેલ્લા આઠ દિવસમાં જ લસણના ભાવમાં 500થી 700 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને લસણના ભાવ મળતો ન હતો. જેથી ખેડૂતોને પાણીના ભાવે લસણ વેચવાની ફરજ પડતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને 250 થી 300 રૂપિયા એક મણના ભાવ મળતા હતા પરંતુ આ વર્ષે ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે. જેથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રોજ 8 હજારથી 9 હજાર મણ લસણની આવક થઈ રહી છે.


રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક જિલ્લાઓમાં માવઠાથી ખેડૂતોને વ્યાપકપણે નુકસાન થયાની આશંકા છે. જીરૂ, વરિયાળી, રાયડો, ઘઉંના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી ખેતરમાં રહેલા શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, મગફળી જેવા પાકનું વાવેતર થયેલું છે. જ્યાં વરસાદ વરસતા ખેડૂતોને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા છે. ભર શિયાળે ખેડૂતોનાં ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા.


ચણા, ધાણા, લીલા શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું છે. અનેક ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને મોટાપાયે નુકસાન જશે. ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર આપવાની પણ માંગ કરી હતી.


સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમરેલી, રાજકોટ, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. માવઠાથી સૌરાષ્ટ્રમાં કૃષિ પાકને નુકસાન થયું છે. વીજળી પડતા દક્ષિણ ગુજરાતમાં ત્રણના મોત થયા હતા. વીજળી પડતા નવ લોકો દાઝતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કપાસ, ગુવાર, શેરડી, નાગલી, સ્ટ્રોબેરીના પાકને ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાની ઘટનામાં ચારના મોત થયા છે. 30થી વધુ પશુઓના મોત થયા છે.