રાજકોટઃ ગુજરાતમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આ દરમિયાન રાજ્ય પર હાલ તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના અનેક બંદરો પર વિવિધ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે.


આ દરમિયાન વાવાઝોડાને લઈ રાજકોટ એસટી ડિવિઝને મોટો નિર્ણય લીધો છે.  રાજકોટ એસટી ડિવિઝન દ્વારા દરિયાકાંઠાના બસ રૂટ બંધ કરવામાં આવ્યા છે. નાઈટ હોલ્ટ કરતી બસોને પરત બોલાવી લેવામાં આવી છે.


ગુજરાતમાં તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. 18મેની સવારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.  વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


 કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે?



  • ૧૭ મે : વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

  • ૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,

  • ૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.


આઇએમડીએ કહ્યું- ગુજરાત અને દમણ દીવ માટે યેલો એલર્ટ જાહેર કરી દીધું છે. 18 મે સુધી પવનની ગતિ 150-160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાના આસાર છે, જ્યારે થોડાક સમય માટે હવાની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. 


વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.   ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.