રાજકોટઃ સૌરાષ્ટ્રથી સુરત જનારાં લોકો માટે આનંદના સમાચાર છે. અત્યારે રાજકોટથી સુરત જવામાં કલાકો નિકળી જાય છે ત્યારે 14 જુલાઈથી માત્ર 45 મિનિટમાં રાજકોટથી સુરત પહોંચી જવાશે. એર ઇન્ડિયા 14 જુલાઈથી રાજકોટથી દિલ્હી વાયા સુરત નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે. આ ફ્લાઈટ રાજકોટવાસીઓની મોટી સમસ્યા હલ કરી દેશે. આ ફ્લાઈટનું રાજકોટથી સુરતનું ભાડું રૂ. 1705 અને રાજકોટથી દિલ્હીનું ભાડું રૂ. 6432 નક્કી કરાયું છે. રાજકોટથી દિલ્હી વાયા સુરતની ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ એટલે કે મંગળવાર અને ગુરુવારે ચાલુ થશે.




લોકડાઉન લદાયું ત્યારથી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ બંધ છે. હવે 14 જુલાઈથી એર ઇન્ડિયા નવા શિડ્યૂલ સાથે રાજકોટથી દિલ્હી નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે. આ ફ્લાઈટ વાયા સુરત જશે. ફ્લાઈટ નંબર AI-403 દિલ્હીથી બપોરે 14.10 કલાકે ટેકઓફ થઇ રાજકોટ એરપોર્ટ પર 15.50 કલાકે લેન્ડ થશે. રાજકોટથી આ ફ્લાઈટ સાંજે 17.00 કલાકે ટેકઓફ થશે અને સુરત એરપોર્ટ પર 17.45 કલાકે ઉતરશે. સુરતથી સાંજે 19.00 કલાકે આ ફ્લાઈટ દિલ્હી જવા રવાના ભરશે અને રાત્રે 21.00 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. એર ઇન્ડિયાએ આ શિડ્યૂલ 14 જુલાઈથી 20 ઓગસ્ટ સુધીના સમય માટે જાહેર કર્યું છે.