Rajkot Tragedy: રાજ્યમાં બનેલી રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે. હાઇકોર્ટના ઠપકાં બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને રાજ્યમાં આવી ઘટના ના બને તે માટે તપાસ અને એક્શન લેવા આદેશો આપ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનના અગ્નિકાંડમાં 28થી વધુ લોકોના મોત થયા હતા. આ પછી વાત હાઇકોર્ટ સુધી પહોંચી હતી, હાઇકોર્ટ પણ રાજ્ય સરકારની અને જવાબદાર તંત્રની ઝાટકણી કાઢી હતી. 


રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડ બાદ હવે રાજ્ય સરકાર જાગી છે. રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને કડક આદેશ આપ્યા છે. ફાયર NOC ના હોય તેમની વિરૂદ્ધ કડક પગલા ભરવા અને ફરિયાદ નોંધવા આદેશ કર્યા છે. મંદિર, મસ્જીદ, ધાર્મિક સ્થળો, સ્કૂલ-કોલેજ પણ કડક રીતે ચકાસણી કરવા આદેશો કરવામાં આવ્યા છે. શહેરોમાં મૉલ, થિએટર, ફૂડ માર્કેટ સહિતના તમામ સ્થળોની ચકાસણી કરવામાં આવે.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં રાજ્યના તમામ ગેમ ઝૉન તાત્કાલિક અસરથી બંધ કરવા હૂકમ કરાયા હતા. તમામ મનપા કમિશનર, ચીફ ઓફિસરને નૉટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી. નૉટિસ ફટકારીને વિગતવાર માહિતીનો ખુલાસો માંગ્યો હતો. ફાયરસેફ્ટી મુદ્દે હાઈકોર્ટનું અતિ મહત્વનું અવલોકન જોવા મળ્યુ હતુ. આવી ઘટનાઓમાં બે દાયકાથી હાઈકોર્ટ-સુપ્રીમના આદેશનું પાલન નહીં તે અદાલતી તિરસ્કાર છે. 


રાજકોટ અગ્નિકાંડને લઈ EXCLUSIVE જાણકારી, SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિ થયાના ખુલાસા


શનિવાર રાજકોટના ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગી હતી, જેમાં 28 લોકોના મોત બાદ હોબાળો થયો અને બાદમાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડને લઈ EXCLUSIVE જાણકારી સામે આવી છે. અગ્નિકાંડની તપાસ કરનારી SITના રિપોર્ટને લઈ જાણકારી સામે આવી છે. SITનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરિતી થયાના ખુલાસો થયા છે. ગેમ ઝૉનની ગતિવિધીઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો આ માટે લેવામાં આવ્યા છે. RMC, પોલીસ, PWDના અધિકારીઓના નિવેદનો લેવાયા છે. આ ઉપરાંત R&B વિભાગ, પૂરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદનો લેવાયા છે. ઈમ્પેક્ટ ફી થકી ગેમ ઝૉનને કેવી રીતે રેગ્યૂલાઇઝ કરાઇ તેની પણ તપાસ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ખુલ્યુ છે કે, કયા એન્જિનીયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે. આ ઉપરાંત કયા-કયા નકલી દસ્તાવેજો ઉભા કરાયા હતા તેની પણ તપાસ થશે. SITની તપાસ હજુ પણ ચાલુ રહેશે. ખાસ વાત છે કે, ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને SITની ટીમ રાજકોટ રવાના થશે.