કાળી ચૌદશની રાત્રે રાજકોટમાં ત્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો હતો. શહેરના આંબેડકરનગરમાં એક સાથે ત્રણ હત્યા થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની હત્યા કરવામાં આવી હતી. તો સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ મોત થયું છે. ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ ઉચ્ચર પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગઈકાલે કાળી ચૌદશની મોડી રાત્રે રાજકોટમાં લોહિયાળ ઘટના બની હતી, જેના પગલે રંગીલું શહેર હચમચી ઉઠ્યું છે. ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં થયેલી જૂથ અથડામણમાં એક સાથે ત્રણ વ્યક્તિઓની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, મધરાતની આ અથડામણમાં એક પક્ષના બે સગા ભાઈઓની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ છે. જેની ઓળખ 45 વર્ષીય સુરેશ પરમાર અને 40 વર્ષીય વિજય પરમાર તરીકે થઈ છે. એટલું જ નહીં, હુમલો કરનાર યુવક અરુણ બારોટની પણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ હિંસક ઘટનામાં અન્ય લોકોને પણ ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક બંને ભાઈઓના પિતા વશરામભાઈએ કહ્યું હતું કે 'મારા બંને દીકરાઓ મજૂરી કામ કરીને રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે તેમનું વાહન અથડાયું હશે, જે બાબતે બોલાચાલી થઈ હતી. લુખ્ખા તત્વોએ મારા બંને દીકરા પર હુમલો કર્યો હતો જેમાં તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સહિત માલવિયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયા હતા. માલવિયાનગર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બંને પક્ષો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી.