Rajkot TRP Game Zone Tragedy: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની આંચ સરકારી બાબુઓ સુધી પણ પહોંચી છે. રાજયભરને હચમચાવનાર આ અગ્નિકાંડ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ કરતી સિટે રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા, બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી  ઉપરાંત  ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વીગોરા સહિત ચારની ધરપકડ કરી હતી.  જેની સાથે જ આ અગ્નિકાંડમાં આરોપીઓની ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે.


સાગઠીયાનાના બે નિવાસસ્થાનો અને બે ઓફિસો પર એ.સી.બી. તપાસ કરવા પહોંચી હતી. સાગઠીયાના યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોકમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના નિવાસસ્થાનની નજીક તેમનું નિવાસસ્થાન આવેલું છે. આ સ્થળે એ.સી.બી. પહોંચી હતી અને લોકોએ ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી.


ACBની કાર્યવાહીથી TPO એમ ડી સાગઠીયાના 3 એજન્ટ ગુમ


એસીબીની તપાસથી સાગઠીયાના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ACBની કાર્યવાહીથી TPO એમ ડી સાગઠીયાના 3 એંજન્ટ ગુમ થયા હતા. રાજકોટમાં TPO સાગઠીયાને નૈવેધ ચડાવવા 3 સહાયક હતા. એક એજન્ટ પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાની માહિતી છે. તમામ 3 એજન્ટ TPO સાગઠીયાના આશીર્વાદથી કરોડોના આસામી બન્યા હતા.


સાગઠીયાની ઓફિસે તાળા લાગી ગયા


રાજકોટના TPO મનસુખ સાગઠીયાની ઓફિસે તાળા લાગી ગયા હતા. ગુરુવારે રાત્રે ACB એ સાગઠીયાની ઓફિસમાં રેઇડ કરી હતી અને ઘણા મહત્વના દસ્તાવેજ ACBએ સગઠિયની ઓફિસેથી કબ્જે કર્યા હતા. ઉપરાંત ટાઉન પ્લાનિંગની અનેક ફાઈલ ACBએ કબ્જે કરી હતી. વહીવટદારોનું લિસ્ટ અને બિલ્ડરોની ફાઈલ કબ્જે કરાઈ હતી.


રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ ACB ઓફિસે પહોંચી રજૂઆત કરી


રાજકોટ શહેર કોંગ્રેસની ટીમ ACB ઓફિસે પહોંચી હતી. RMC ના અધિકારીઓ વિરુદ્ધ કડક પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસે માંગ કરી હતી. લાંબા સમયથી RMCના તત્કાલીન TPO એમ.ડી. સાગઠીયા લાંચ લેતા હતા. વિવિધ માંગણી સાથે કોંગ્રેસની ટીમ ACB ઓફિસે પહોંચી હતી. ગઈકાલે એમ.ડી. સાગઠીયાની RMC ચેમ્બરમાં ACB એ દરોડા  પાડ્યા હતા. આ સાથે ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર અને નાયબ ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા ના ચેમ્બરમાં પણ દરોડા પાડ્યા હતા.


એસીબીને ટૂંક સમયમાં મળશે મોટી સફળતા


એસીબી મદદનીશ નિયામક કે.એચ.ગોહિલએ નિવેદન આપતાં જણાવ્યું, એસીબી દ્વારા હાલ અનેક આક્ષેપિતોના નિવાસ સ્થાને તેમજ ઓફિસ ખાતે તપાસ કરવામાં આવી રહી છે.  એસીબી દ્વારા આક્ષેપિતોના નિવાસ સ્થાનેથી તેમજ રહેણાંક મકાન ખાતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. એસીબી ટુંક સમયમાં ધારી સફળતા મેળવશે.