ગાંધીનગરઃ કોરોનાનો ભોગ બનેલા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રખાયા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાંસદ અભય ભારદ્વાજની તબિયત છેલ્લા બે દિવસથી કથળી છે અને અત્યંક ગંભીર થઈ છે. ભારદ્વાજને ફેફસામાં કોરોનાનો ફેલાવો, લોહીના ગઠ્ઠા જામવા જેવી તકલીફો છે. આ ઉપરાંત તેમના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટયું છે.


ભારદ્વાજની તબિયત બગડતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે બપોરે ખાસ ચાર્ટર ફ્લાઈટ મારફતે સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડો. તુષાર પટેલ, ડો. આનંદ શુકલ, ડો. અમિત પટેલને રાજકોટ મોકલ્યા હતા. ડો. અતુલ પટેલના કહેવા મુજબ ભારદ્વાજના શરીરમાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે અને તેની સામે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. 15 દિવસથી ચેપગ્રસ્ત હોવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ ક્ષીણ થઈ છે તેથી બુધવારથી એકોમા સારવાર આપવામાં આવશે.