રાજકોટ: રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે. રેસકોર્ષથી આ વિશાળ રેલીની શરુઆત થઈ હતી. આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. રુપાલની ટિકીટ રદ્દ કરોના નારા સાથે રેલી નિકળી હતી. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં  જોવા મળી હતી.   ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રુપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. કલેક્ટર કચેરી બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.   




ભાજપના ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન બાદ આ મામલો શાંત પડવાનું નામ નથી લઇ રહ્યો. ક્ષત્રિય સમાજનો આક્રોશ સાતમા આસમાને છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની આ મહારેલીમાં  મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો જોડાયા છે. જેમાં કેસરી સાફા સાથે પૂરૂષો અને કેસરી સાડી પહેરીને મહિલાઓ એકત્ર થઈને રેલીમાં ભાગ લીધો હતો. 


ક્ષત્રિય સમાજની આ મહારેલીને લઈને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  વોટર કેનન સહિત વજ્ર વાહનો તૈનાત કરી દેવાયા છે. આ સાથે જ, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ તકેદારીઓ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. 



પરષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનનો શું છે મામલો


રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ;જૂના જમાનાના રાજવીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું કે, એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.


નિવેદન બાદ રુપાલાએ માફી  માગી હતી


મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો,  મારા નિવેદન બાદ મે માફી પણ માગી છે.  મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભ લપસી ક્યારેય આવુ થયુ નથી. મારી પાર્ટીને મારા કારણે આજે સાંભળવું પડ્યું.  રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માગુ છુ. આ ક્ષતિ સંપૂર્ણ મારી ક્ષતિ છે,જવાબદાર હું છું. મારા કારણે ક્ષત્રિય સમાજને સહન કરવું પડશે તેની જવાબદારી મારી. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું.