રાજકોટ: રાજકોટના આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવીડ-19 હોસ્પીટલમાં ગઈકાલે મોડીરાત્રે અચાનક આગ લાગતા 5 દર્દીઓના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતની નોંધ લઈને ગુજરાત સરકાર પાસે 1 ડીસેમ્બર સુધીમાં રીપોર્ટ માંગ્યો છે.


સુપ્રીમ કોર્ટ દ્વારા રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ માટે જસ્ટીસ શાહ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આગ લાગે ત્યારે ફક્ત કારણ આપીને છુટી જાવ તેવું ચાલે નહી. તેના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સોલીસીટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપીને કહેવામાં આવ્યું છે કે આ આગ માટે જે પણ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ, સુપ્રીમ કોર્ટ દ્વારા અગ્નિકાંડ બાબતે સંજ્ઞાન લઈને કહેવામાં આવ્યું છે કે કોવિડ હોસ્પીટલમાં જ કેમ આગ લાગે છે ?

સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ખુબ ગંભીર બાબત છે, આપણે આવી દુર્ઘટનામાં ઘટનાના મૂળમાં જઈને અને સત્ય હકીકત શોધીને લોકો સમક્ષ લાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં આપણે આવી દુર્ઘટનાથી બચી શકીએ.

ઉલ્લેખનિય છે કે રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની મંજૂરી અપાઈ હતી.