રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યો દ્વારા ફરીથી લોકડાઉનની માંગ પણ કરવામાં આવી છે. એટલું જ નહીં, રાજકોટ જિલ્લામાં પણ સોશિયલ મીડિયા પર લોકડાઉનની માંગ ઉઠી છે. જોકે, આ બધાની વચ્ચે રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.


કોરોનાની ગંભીર સ્થિતિ છતાં તંત્ર બેફિકર રહેતા લોકોએ જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. જસદણ, ગોંડલ સહિતનાં તાલુકાનાં ગામોમાં વેપારીઓએ દુકાનો ખોલવાનો સમય ઘટાડ્યો છે. આવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા સુરેન્દ્રનર, જોરાવરનગર, રતનપર, લીંબડીમાં દુકાનો ખોલવાનો સમય ઘટાડ્યો છે.

બોટાદ જિલ્લામાં કોરોનાના વધી રહેલા કેસાના કારણે રાણપુર વેપારી મહામંડળે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે આજથી એટલે કે સોમવારથી 12 દિવસ સુધી રાણપુરની તમામ દુકાનો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. બોટાદ ના રાણપુરમાં વધતા જતા કોરોના કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે.

રાણપુર વેપારી મંડળની મીટીંગમાં કોરોના સંક્રમણને અટકાવવા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી મંડળે જાહેરાત કરી છે કે, આજે તારીખ-20-7-20 થી 31-7-20 સુધી સવારના 7થી બપોરના 2 વાગ્યા સુધી રાણપુર તમામ દુકાનો, લારી, ગલ્લા, કેબીન સહીતના તમામ ધંધા-રોજગાર ચાલુ રહેશે જ્યારે બપોરના 2 વાગ્યા પછી તમામ ધંધા સ્વયંભૂ બંધ રહેશે અને આ સમય દરમ્યાન સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે.