આખરે રાજકોટનો લોક મેળો ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં જામનગર અને પોરબંદરમાં લોકમેળો રદ કર્યાની જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે રાજકોટના લોકમેળા સહિત જિલ્લામાં ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિત એક પણ મેળા નહીં યોજાય.


મહત્વનું છે કે, રાજકોટના ઇતિહાસમાં બીજી વખત 51 વર્ષ બાદ લોકમેળો રદ કરાયો છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉંડમાં 5 દિવસ યોજાતા લોકમેળામાં અંદાજે 10 લાખથી વધુ લોકો આવતા હોય છે. એવામાં આ વર્ષે પણ લોકમેળો રદ થતાં રાઈડ્સ, રમકડાં, આઈસ્ક્રિમ સહિતના વેપારીઓને મોટું નુકસાન થયું છે. રાજકોટના મેળામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંદાજે 2 લાખ લોકોને રોજીરોટી મળતી હોય છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં 28 જૂલાઈના રોજ કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,69,164 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


અત્યાર સુધી 285 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,413 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 57 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં રસીકરણ


રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 110 લોકોને પ્રથમ અને 8373 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 64615 લોકોને રસીનો પ્રથમ અને 63370 લોકોને રસીનો બીજો ડોઝ આજ અપાયો હતો. 18-45 વર્ષના 187414 લોકોને રસીનો પ્રથમ અને 45282 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે રાજ્યમાં ગઈકાલે કુલ 3,69,164 લોોકનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાતનાં કુલ 3,21,75,416 લોકોનું રસીકરણ થઇ ચુક્યું છે.