રાજકોટ:  રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા શિક્ષક દ્વારા મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટની નાના મોવા ગામ પાસે આવેલી શાળા નંબર 93 માં આચાર્ય દ્વારા પત્રમાં સનસનીખેજ વિગતો લખવામાં આવી છે અને ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે.


 



રાજકોટ મનપા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નંબર ૯૩ ખાનગી ફાઉન્ડેશનને દત્તક આપ્યા બાદ સરકારી સ્કૂલની હાલત બદતર બની ગઈ હોવાની આચાર્યએ સ્થાનિકથી લઈને મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરી છે. સ્કૂલના આચાર્ય વનિતાબેન રાઠોડએ રજૂઆતમાં જણાવ્યું છે કે, શાળામાં ધો.1 થી 8 માં 890 બાળકો અભ્યાસ કરે છે. વિકસિત શાળાને દત્તક લઈ હાઈટેક બનાવવાના નામે લાખોની તોડફોડ કરી છે. પ્રજ્ઞા ક્લાસરૂમમાં પ્રજ્ઞા રેન્ક, લેડર, બાળકોની પ્રોફાઈલ દૂર કરી, પ્રોજેક્ટર અને હોમ થિયેટરના સ્પીકર્સને નુકસાન કર્યું છે. અક્ષય પાત્ર, રામહાટ જેવી વ્યવસ્થાને વેર વિખેર કરી નાખી છે. છતમાં વોટરપ્રૂગિ હોવા છતાં અગાસીમાં ખોદકામ કરતાં પાણી પડતા કોમ્પ્યુટર લેબમાં રહેલા ૨૭ કમ્પ્યુટરને શોર્ટ સર્કિટને લીધે નુકસાન પહોંચ્યું છે જેને લીધે બાળકોનું કમ્પ્યુટર શિક્ષણ બંધ છે.


સ્કૂલના ત્રણ આર. ઓ. પ્લાન્ટ અને બે ઠંડા પાણીના ફીજ તોડી નખાયા છે. ક્લાસરૂમમાં ચારને બદલે બે પંખા નખાયા છે 8 ઘડિયાળ 15 માંથી 2 જ છે. શિક્ષકોનું ફેફ્સ રીડિંગ કાઢી નાખ્યું છે જેને લીધે આચાર્ય સહિતના શિક્ષકો ઓનલાઈન હાજરી પૂરી શકતા નથી. સૌથી ગંભીર બાબતે છે કે સેનિટેશનની કોઈ વ્યવસ્થા ન હોવાને લીધે વિદ્યાર્થીઓને આચાર્યોને વોશરૂમ જવા માટેની કોઈ જ વ્યવસ્થા હાલ સ્કૂલમાં નથી. આ ઉપરાંત પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી. રૂપિયા એક લાખની સાયન્સ લેબ પણ વેર વિખેર કરી નાખતા વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પ્રેક્ટીકલ જ્ઞાન હાલ બંધ છે. 


આચાર્યનું કહેવું છે કે અત્યારે સુધીમાં શાળામાં રૂપિયા 68 લાખ જેટલું દાન આવ્યું છે. જે કાંઈ પણ વિકાસ કામો થયા હતા તે તમામ ખાનગી શર્વ ફાઉન્ડેશન દ્વારા વેર વિખેર કરી સ્કૂલને દતક લઈ ડેવલોપમેન્ટ કરવાના નામે સ્કૂલમાં લાખોનું નુકસાન પહોંચાડ્યું છે. જેની ભરપાઈ પણ ખાનગી ફાઉન્ડેશન દ્વારા કરવી જોઈએ કારણ કે આ બધું જ નુકસાન સરકારી માલમિલકતનું છે. આ સાથે જ રજૂઆતમાં એ પણ આક્ષેપ થયો છે કે ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા મહિલા આચાર્યને સ્પર્શ કરી કનડગત કરવાની સાથે કચ્છ બદલી કરાવી દઈશું તેવી ધમકી પણ આપી છે.


વિનોબા ભાવે સરકારી શાળા વિદ્યાર્થીના વાલીનું કહેવું છે કે, . શાળાનું સંચાલન પહેલા ખૂબ સારી રીતે થતું હતું પરંતુ ખાનગી ફાઉન્ડેશનને શાળા દત્તક આપ્યા બાદ ડેવલપમેન્ટના બદલે ઘણું નુકસાન થયું છે. જેથી સ્કૂલ કમિટીના સભ્ય તરીકે આ કરાર રદ થાય તેવી માંગ છે. જો બે દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ વાલીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ધારણા કરવામાં આવશે.


 રાજકોટ પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનઅધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, શાળા નંબર 93 શર્વ ફાઉન્ડેશન દ્વારા દતક લેવામાં આવી હતી. જો કે તેમાં આચાર્ય અને વાલીઓની એવી માંગ છે કે, આ કરાર રદ કરવામાં આવે જેથી આજે તપાસ બાદ કરાર રદ કરવા શિક્ષણ સમિતિને ભલામણ કરીશ. જોકે આચાર્યની જે પ્રકારે ફરિયાદ છે તે મુજબનું બહુ વધુ નુકસાન થયું નથી. જિલ્લા શિક્ષણાધિકારી અને મ્યુ.કમીશ્નર અને પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને રિપોર્ટ સોંપવામાં આવશે.