રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. આજે બપોર સુધીમાં જામનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરોનાને કારણે બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે જિલ્લામાં એક કેસ નોંધાયો છે. તેમજ મોરબી જિલ્લામાં ત્રણ લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.


આજે ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ 9 કેસ નોંધાયા છે. જેમાંથી સાત કોર્પોરેશન વિસ્તારમાં અને બે ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. ભાવનગર સીટી વિસ્તારમાં રહેતા સાત પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભાવનગર નજીકના કોબડી ગામે 58 વર્ષના વૃદ્ધ મહિલા અમે વલ્લભીપુર ના 35 વર્ષના યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બન્નેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજે જામનગરમાં કોરોનાના વધુ 7 કેસ સામે આવ્યા છે. 6 શહેરી વિસ્તારના કેસ છે, જ્યારે 1 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. જ્યારે બોટાદમાં આજે 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદ તાલુકાના ઢાંકણીયા ગામે અને ગઢડા તાલુકાના ઢસા ગામે કોરોનાના કેસ આવ્યા છે.

અમરેલી જિલ્લામાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે. અમરેલીના ચક્કરગઢ રોડ પરની રામ પાર્ક સોસાયટીમાં એક જ પરિવારના 3 ને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલીના સવજીપરામા 25 વર્ષિય પુરૂષ, લીલીયાના આંબા અને અમરેલીના વાંકીયા ગામમા 1-1 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 92 પર પહોંચી છે. અમરેલી જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોના થઈ મોત ચુક્યા છે.