Transport Service Affected: સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા છે ત્યારે હવે આ વરસાદને કારણે ભારે નુકસાનના સમાચાર સામે આવી રહ્યા છે. એક બાજુ પશુઓના મોતના સમાચાર છે તો બીજી બાજુ મકાન ધરાશાયી થયાના વાવડ મળી રહ્યા છે. ત્યારે હવે ભારે વરસાદને કારણે પરિવહન સેવા પણ પ્રભાવિત થઈ છે. એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસની 264 ટ્રીપ રદ કરાઈ છે. સુત્રાપાડા , તાલાળા , માળિયા હટીના , માંગરોળ, કેશોદ, ધોરાજી તરફ જતી બસ સેવા સૌથી વધુ પ્રભાવિત થઈ છે.


ગુજરાતમાં મંગળવારે પડેલા ભારે વરસાદને કારણે ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ એટલો બધો પડ્યો છે કે ઘણી જગ્યાએ ગાડીઓ પણ ડૂબી ગઈ છે. રાજકોટ, સુરત અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. થોડા જ કલાકોમાં આ જિલ્લાઓમાં 300 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાવાને જોતા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 70 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.


મંગળવારે ભારે વરસાદનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ કાર સહિત રોડ પર પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.


સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં મંગળવારે સવારે 6 વાગ્યાથી માત્ર 14 કલાકમાં સૌથી વધુ 345 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આ જ સમયગાળા દરમિયાન 250 મીમી વરસાદ નોંધાયો હતો.


સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં દિવસ દરમિયાન આશરે 104 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે. જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. રાજ્ય સરકાર હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.પાણીના ભારે પ્રવાહને કારણે, ગુજરાતના 206 જળાશયોમાંથી 43ને હાઈ એલર્ટ પર, 18ને એલર્ટ મોડમાં, રાજ્ય સરકારે મંગળવારે ભારે વરસાદને પગલે એક નિવેદનમાં જણાવ્યું હતું અને અન્ય 19 માટે ચેતવણી જારી કરવામાં આવી છે.