રાજકોટ: શહેરમાં જાણે કે, રસ્તામાં અને ખાડામાં મોત મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક ખાડામાં પડી જવાથી હર્ષ ઠક્કર નામના યુવાનનું મોત નિપજ્યું છે. પરિવારના એકના એક આશાસ્પદ યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ તંત્રની બેદરકારી જણાઈ રહી છે. બનાવ બન્યા બાદ મહાનગરપાલિકા દ્વારા બેરીકેટ મૂકવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મનપા કમિશનરે કહ્યું કે, પહેલા રીબીન રાખવામાં આવી હતી.


એકના એક દીકરાનું ઘટના સ્થળે જ મોત


રાજકોટના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ઓવર બ્રિજ નજીક ગર્ડર લોન્ચિંગ માટે ઓવર બ્રિજ નિર્માણનું કામ કરનાર એજન્સી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડાની ફરતે નિર્માણ કાર્ય કરનાર એજન્સી દ્વારા માત્ર પ્લાસ્ટિકની સેફટી રીલ લગાવવામાં આવી હતી. ખાડામાં કોઈ વ્યક્તિ કે પશુ ખાબકે નહીં તે માટે અન્ય કોઈપણ જાતના સેફટીના સંશોધનો લગાવવામાં નહોતા આવ્યા. ત્યારે આજરોજ હર્ષ અશ્વિનભાઈ ઠક્કર નામનો વ્યક્તિ પોતાની દુકાને જઈ રહ્યો હતો. આ સમયે તે પોતાના બાઈક સાથે ખાડામાં ખાબકતા ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. માથાના ભાગે બીજા પહોંચતા ઠક્કર પરિવારના એકના એક દીકરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 


મળતી માહિતી મુજબ મૃતક ચશ્માની દુકાનમાં નોકરી કરતો હતો. તેમજ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો. ત્યારે મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. આશાસ્પદ યુવાનના મૃત્યુને લઈને પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. મૃતક હર્ષ અને એક બહેન છે અને હર્ષ પોતે ખાનગી ચશ્માના શો રૂમમાં નોકરી કરતો હતો.


તો બીજી તરફ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અમિતા અરોરાનું પણ નિવેદન સામે આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, સમગ્ર બનાવ ખૂબ જ દુઃખદ છે. બનાવ અંગે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે સીટી એન્જિનિયરને ઘટના સ્થળની મુલાકાત લેવાનું પણ કહેવામાં આવી ચૂક્યું છે. પ્રાથમિક માહિતી અંતર્ગત ગર્ડર લોન્ચિંગ માટે એજન્સી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. ખાડાની ફરતે સેફટી રીલ પણ લગાવવામાં આવી હતી. પરંતુ સેફટી રીલ પર્યાપ્ત હતી કે પછી અન્ય કોઈ સેફ્ટીના સંસાધનોની જરૂર હતી તે માટે તપાસ કરવામાં આવશે. તપાસના અંતે જો એજન્સીની બેદરકારી ખોલવા પામશે, તો તેના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.


ભીર બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનનો મૃત્યુ


જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે તપાસના આદેશ અધિકારીઓ આપતા હોય છે પરંતુ આવી ગંભીર બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનનો મૃત્યુ થયું છે તેની ખોટ કોણ પૂરશે. હાલમાં મહાનગરપાલિકા દ્વારા ખાડા ફરતે બેરીકેટ મૂકવામાં આવ્યા છે જો કદાચ આ બેરીકેટ પહેલા મૂકવામાં આવ્યા હોત તો ઠક્કર પરિવારનો આ લાડકવાયો અત્યારે જીવતો હોત.