Sandeshkhali Violence: પશ્ચિમ બંગાળના સંદેશખાલીની રહેવાસી ત્રણમાંથી એક મહિલાએ બુધવારે (8 મે) તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓ સામેના બળાત્કારના આરોપો પાછા ખેંચી લીધા હતા. બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીની રહેવાસી મહિલાએ આરોપ પાછો ખેંચી લીધો અને કહ્યું કે તેની સામે કોઈ જાતીય અપરાધ કરવામાં આવ્યો નથી. તેણે આરોપ લગાવ્યો કે ભાજપના સભ્યોએ તેને કોરા કાગળ પર સહી કરાવી અને પછી પોલીસનો સંપર્ક કર્યો.


એનડીટીવીના અહેવાલ મુજબ, મહિલાએ કહ્યું, "ભાજપે મારા પર કોરા કાગળો પર સહી કરવા અને દુષ્કર્મની  ફરિયાદ નોંધાવવા દબાણ કર્યું હતું." ખોટા આરોપો પાછા ખેંચવા બદલ મહિલા હવે ધમકીઓ અને સામાજિક બહિષ્કારનો સામનો કરી રહી છે. આ અંગે મહિલાએ સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ પણ નોંધાવી છે. સંદેશખાલીમાં મહિલાઓ પર દુષ્કર્મનો  કથિત કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો.


આવાસ યોજનાના નામ પર કરાવી બોગસ સહી


ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ મહિલાએ આરોપ લગાવ્યો કે સ્થાનિક ભાજપ મહિલા મોરચાના અધિકારીઓ અને અન્ય પાર્ટીના સભ્યો તેના ઘરે આવ્યા હતા. આ પછી તેને નકલી ફરિયાદ પર સહી કરવાનું કહેવામાં આવ્યું.


મહિલાએ કહ્યું, "તેઓએ આવાસ યોજનામાં મારું નામ સામેલ કરવાના બહાને મારી સહી માંગી. બાદમાં તેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં મને દુષ્કર્મની  ફરિયાદ નોંધાવવાનું કહેવામાં આવ્યું. TMC ઑફિસમાં મારી જાતીય સતામણી કરવામાં આવી ન હતી. "મને ક્યારેય મોડી રાત્રે પાર્ટી ઓફિસ જવા માટે  દબાણ કરવામાં નથી આવ્યું."


ભાજપના લોકો સામાજિક બહિષ્કાર કરી રહ્યા છેઃ મહિલા


મહિલાએ કહ્યું છે કે જ્યારથી તેમણે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે અને દુષ્કર્મના  આરોપો પાછા ખેંચ્યા છે ત્યારથી તેના પરિવારને સ્થાનિક ભાજપ અધિકારીઓ દ્વારા સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાએ કહ્યું, "અમે અસુરક્ષિત અનુભવીએ છીએ અને મેં હવે પોલીસની મદદ માંગી છે."


સંદેશખાલી રેપ કેસ સ્ટિંગ ઓપરેશનમાં નકલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો


એક સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો છે ત્યારે ભાજપના નેતાઓ પર મહિલા તરફથી આ આરોપો લગાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે સંદેશખાલીમાં ષડયંત્ર પાછળ પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીનો હાથ હતો. ANIના અહેવાલ મુજબ, ગંગાધર કોયલ નામના બીજેપી મંડલ (બૂથ) પ્રમુખ વીડિયોમાં કથિત રીતે કહે છે કે સંદેશખાલીની મહિલાઓનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું ન હતું. વિપક્ષી નેતાના આદેશ પર તેણીને ' દુષ્કર્મ' પીડિતા તરીકે આગળ મૂકવામાં આવી હતી