સુરતઃ હજુ 18 દિવસ પહેલા જ લગ્ન કરનાર પ્રોફેસરે પોતાના ક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવે આપઘાત કરી લેતા શિક્ષણજગતમાં ભારે ચર્ચા જાગી છે. યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સમાં જ આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, મૂળ તેલંગણાના વારંગલ જિલ્લાના મેટાડુના વતની અને ધના મગદલ્લા રોડ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રોફેસર ક્વાર્ટસમાં રહેતા પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ(ઉં.વ.32)ના ગત 20મી નવેમ્બરે જ લગ્યા થયા હતા. લગ્ન પછી તેઓ ગત 4 ડિસેમ્બરે સુરત આવ્યા હતા. તેમજ તેમણે ઓનલાઇન અભ્યાસ કરાવવાની શરૂઆત કરી હતી.

યુનિ.માં કોન્ટ્રાક્ટ બેઝ્ડ અધ્યાપક તરીકે ફરજ પ્રોફેસર પૂર્ણચંદ્ર રાવ છેલ્લા બે દિવસથી ફોન ઉપાડતા ન હતા અને આ પછી તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. ગત મંગળવારે મીટિંગ હોવાથી બપોરે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ નવીન પટેલનો કોન્ટેકટ કર્યો હતો. જોકે, કોન્ટેક્ટ ન થતા નવીન પટેલે યુનિવર્સિટીના સિકયુરીટી ઇન્ચાર્જ મેહુલ મોદીને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં તેમના કવાર્ટસમાંથી ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતા ઉમરા પોલીસ યુનિવર્સિટી પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.