સુરત: શહેરમાં સરથાણા સામુહિક આપઘાત મામલે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારમાં વધુ એક મોત નિપજ્યું છે. ઘરના મોભી વિનુ મોરડીયાનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આમ આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારના ચારેય સભ્યોનું સમયાંતરે મોત થતા ચકચાર મચી જવા પામી છે. તમને જણાવી દઈએ કે, સવારે માતા, પુત્ર અને પુત્રીનું મોત નીપજ્યું હતું. જયારે બપોર બાદ પિતા વિનુ મોરડીયાનું પણ મોત નિરજ્યું. ચાર લોકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. આર્થિક તંગીથી કંટાળી આ પરિવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા વિડીયો પણ બનાવ્યો હતો.


ગોમતી ઘાટમાં બે યુવકો તણાયા


ગોમતી ઘાટ પર બે યુવાનો તણાયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે એક યુવક ન્હાવા પડ્યો હતો. જે બાદ તે ડૂબતા લાગ્યો હતો. આ યુવકને બચાવવા અન્ય એક યુવક પાણીમાં પડ્યો હતો. જે બાદ બચાવવા પડેલો યુવક પણ ડૂબવા લાગ્યો હતો. રેસ્ક્યુ ટીમ હાજર ન હોવાને કારણે એક યુવક લાપતા થયો હતો જ્યારે મહા મુસીબતે એકનો બચાવ કરવામાં આવ્યો હતો. બચાવા પડેલા અશરફ નામના યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે જ્યારે પહેલા ન્હાવા પડેલા મોશીન નામના યુવકને બચાવી લેવામાં આવ્યો છે. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. નોંધનીય છે કે હાલમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જેને કારણે તંત્રએ લોકોને દરિયા કાંઠે ન જોવા સૂચના પણ આપી છે.


વડોદરામાં પત્નીને શોધવા ગયેલા પતિની ઘાતકી હત્યા


ડભોઇ તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ડભોઈના પણસોલી વસાહતમાં રહેતાં રવિ નાયક નામનો યુવકો વસાઈ ખાતે પોતાની પત્નીની શોધમાં ગયો હતો. ત્યાં માલુમ પડ્યું હતું કે વસાઈ ગામે રહેતાં વિષ્ણુ લાલજી ભાઈ રાઠોડીયાના ઘરે છે. જેથી યુવક દ્વારા વિષ્ણુને પૂછતાં વિષ્ણુ ઉશ્કેરાઈ ગયો હતો અને રવિને માર માર્યો હતો. રવિને પેટના ભાગે ગંભીર ઇજાઓ થતા તેની હાલત ગંભીર બની ગઈ હતી. જે બાદ રવિને બાઈક ઉપર પણસોલી વસાહત મુકવા જતાં યુવકને બાઈક ઉપરથી તરસાના ગામની સિમમાં નાખી દેવામાં આવ્યો હતો.


પેટમાં ગંભીર ઈજાના કારણે રવિ નાયકનું મોત નીપજ્યું


પેટમાં ગંભીર ઈજાના કારણે રવિ નાયકનું મોત નીપજ્યું હતું. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને મોટી સફળતા મળી હતી અને સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. રવિને પાંસળીના ભાગે ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. જે આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવક રવિની પત્ની અને વિષ્ણુ રાઠોડિયા વચ્ચે પ્રેમ સંબંધો હતો અને તેથી જ વિષ્ણુએ રવિની હત્યા કરી નાખી.