ભરુચઃ અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનીક શાળાના આચાર્યએ 15 વર્ષીય વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હોવાથી ઘટના સામે આવી છે. આચાર્યએ વિદ્યાર્થિનીને નોટબુક જમા કરવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કરતા પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે. ત્યારે આચાર્યના આ કૃત્યથી શિક્ષણ જગતમાં રોષ જોવા મળી રહ્યો હતો અને તેવામાં આચાર્યે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 


આ ઘટનામાં રોડની બાજુમાં ગાડી ઉભી રાખી હતી અને વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ જાતીય સતામણી કરી તેની પાસે બિભત્સ માંગણી કરી હતી. જોકે, વિદ્યાર્થિની તાબે નહિ થતા તેને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે સગીરાએ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આચાર્યને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. 


આ સમગ્ર ઘટનામાં ગત સાંજે ૬.૩૦ કલાક પહેલા કોઇપણ સમયે ભરૂચના પગુથણ ગામની સીમમાં નહેર પાસે આવેલ એક આંબાના ખેતરમાં ઓઢણી વડે સાર્વજનીક શાળાના આચાર્યે ફાંસો લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ ભરૂચ સી ડીવિઝન પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતક આચાર્યના મૃતદેહને નીચે ઉતારી પી.એમ. અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડી આગળની તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે પરિવારજનોએ કઈ રીતે આત્મહત્યા કરી અને કયા કારણોસર આ પગલું ભર્યું છે તેની તટસ્થ તપાસ થાય તે બાબતે માગણી કરી છે.