સુરત: સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિને તેનું સ્વમાન અને ઈજ્જત વ્હાલી હોય છે, પરંતુ પોતાના ચારિત્ર્ય ઉપર જ્યારે કોઈ શંકા કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ સહન કરી શકતું નથી. ખાસ કરીને, સ્ત્રીઓ આવી બદનામી સહન ના જ કરે. સુરતના ઓલપાડમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં સમાજમાં બદનામી થવાના ડરથી એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે.


કોમલે પ્રેમ લગ્ન કર્યા હતા
 
ઓલપાડ તાલુકાના ઉમરા ગામે એક પરિણીતાને તેની સોસાયટીમાં જ રહેતા એક વ્યક્તિ સાથે અફેર હોવાની વાત ઉડાવવામાં આવતા પરિણીતાએ સમાજમાં બદનામ થવાના ડરે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી દીધું છે. ઘટના પર નજરે કરીએ તો, મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામનો ભાવેશ ચતુર બાળધાએ વર્ષ 2017માં મોરબી ખાતે રહેતા રવજી મોહન રીબડીયાની પુત્રી કોમલ સાથે સુરત ખાતે પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લા 6 વર્ષથી પત્ની કોમલ તથા બે વર્ષનો પુત્ર આરવ સાથે ભાવેશ ઓલપાડ તાલુકાના ઉમરા ગામના બાળ કૃષ્ણ રો-હાઉસના ઘર નંબર 21 માં રહે છે. 


એક રાત રાહ ના જોઈ અને આપઘાત કરી લીધો


જોકે, ભાવેશની પત્ની કોમલનું તેમજ અન્ય ઘણી બધી મહિલાઓનું મારી સાથે લફરું ચાલે છે એવું સોસાયટીમાં જ ઘર નંબર 36 માં રહેતા જયદીપ કાકડીયાએ વાત ઉડાવતા કોમલને લાગી આવતા તેણે ઘરના રસોડાના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક કોમલે આત્મહત્યા કરી એ દિવસે સાંજે પતિને સમગ્ર બાબતથી  વાકેફ પણ કર્યા હતા અને પતિ ભાવેશે સવારે પોલીસ મથક જવા માટે જણાવ્યું હતું પરંતુ મૃતક કોમલ બદનામીના બીકે એક રાત રાહના જોઈ અને આપઘાત કરી લીધો.


આ તરફ ઘટનાની જાણ થતા ઓલપાડ પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતા કોમલને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડી હતી. જોકે, ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. પોલીસે જયદીપ રમેશ કાકડીયા (રહે.મકાન નં.૩૬, બાળકૃષ્ણ રો-હાઉસ, ઉમરા ગામ)વિરૂધ્ધ ખોટી વાતો ફેલાવી બદનામ કરી મરવા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ફરિયાદ નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. હાલ ઓલપાડ પોલીસે આરોપી જયદીપ કાકડીયા વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.