સુરત: કામરેજના છેડછા ગામની સીમમાં યુવાને આપઘાત કર્યો છે. યુવાને ખેતરમાં આવેલ ચીકુના ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા યુવાને સુસાઈડ નોટ લખી હતી. ' મે મેરી ઈચ્છા સે કર રહા હું જો ભી કર રહા હું ઇસકે લીએ કોઈ જિમ્મેદાર નહિ હે મેરે ઘર વાલે કો કોઈ કુંછ ભી ન બોલે ' સુસાઈડ નોટમાં આ રીતનું લખાણ કરીને યુવાનો જીવન ટુંકાવ્યું હતું. મોતને ભેટનાર યુવકનું નામ દીનેશ શ્યામલાલ શર્મા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં કામરેજ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. જો કે યુવાને શા માટે આ પગલું ભર્યું તે હજુ સુધી સામે આવ્યું નથી. યુવાનના મોતને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.


તલાટી બાદ હવે જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓ પણ જશે હડતાળ પર
ગાંધીનગરઃ રાજ્યના તલાટીઓની અચોક્કસ મુદ્દત હડતાળનો હજુ અંત આવ્યો નથી ત્યાં રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે.  8 ઓગષ્ટથી રાજ્યમાં 10 હજાર આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે.  ફિમેલ હેલ્થ વર્કર સહિતના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. આ કારણોસર રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેંદ્રો પર આરોગ્ય સેવાઓ ખોરવાઈ શકે છે.


 ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના મત મુજબ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, આરોગ્ય ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓ સાથે મુખ્ય ત્રણેક માંગણીને લઈ ચર્ચા થઈ હતી અને પ્રશ્ન ઉકેલવાની સરકારે ખાતરી આપી હતી.  જોકે હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવતા અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું છે. જોકે આરોગ્ય કર્મચારીઓ ઘર- ઘર તિરંગા યાત્રાના કાર્યક્રમમાં ફરજ બજાવશે.  હાલ તો તલાટી બાદ આરોગ્ય કર્મચારીઓએ મોરચો માંડતા સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે.


બીજી તરફ તલાટીઓની હડતાળનો આજે ચોથો દિવસ છે. ચોથા દિવસે પણ તલાટીઓની હડતાળ યથાવત રહી હતી. તલાટીઓની હડતાળના કારણે પંચાયતોની કામગીરીને અસર થઈ રહી છે.  વિવિધ યોજનાઓના ફોર્મ, આવકના દાખલા સહિત અનેક કામગીરી જે તલાટી હસ્તે ગ્રામ પંચાયતમાં થતી હોય, જે હાલમાં તલાટીઓની હડતાળના કારણે બંધ છે. જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પંચાયતોની કામગીરી ખોરવાઈ હોવા છતાં પણ તલાટીઓ પણ હડતાળ મુદ્દે મક્કમ છે. સરકારે પણ હજુ સુધી વાટાઘાટો કરવા કોઈ પ્રયાસ કરાયા નથી. અરજદારો અને ગામના સરપંચો સબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી તલાટીની માંગ સ્વીકારવા અથવા તો વૈક્લ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી ચૂક્યા છે.