ભરુચઃ ગુજરાતમાં વધુ એક ભાજપના નેતાએ લવ જેહાદ મુદ્દે કાયદો બનાવવાની માંગણી કરી છે. ડભોઈના ધારાસભ્ય પછી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં લવ જેહાદ મુદ્દે કડક કાયદો બનાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. હિન્દૂ યુવતીઓને મુસ્લિમ યુવકો લાલચો આપીને ફસાવે છે અને પછી લગ્ન પણ કરે છે.


તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મુસ્લિમો પહેલેથી જ બે-ત્રણ પત્ની ધરાવતા હોવા છતાં હિંદુ યુવતીઓને તેમની મજબૂરીનો લાભ ઉઠાવીને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે અને લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવે છે. આ લવજેહાદનું કૃત્ય કરવા માટે મુસ્લિમ યુવાનોને તેમના સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ લવ જેહાદ બાબતે ઘણા બધા સંગઠનો તથા હિંદુ સમાજના આગેવાનોએ મારી સમક્ષ રજૂઆત કરી છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે, જેમ ઉત્તર પ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડકમાં કડક કાયદો બનાવ્યો છે, આ કાયદા હેઠળ એક વર્ષથી લઈને પાંચ વર્ષની જેલની સજા અને રૂપિયા 15 હજારનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ ભોગ બનેલી મહિલી સગીર વયની હોય અથવા તો તે અનસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની યુવતી હોય તો તે આરોપીને ત્રણ વર્ષથી લઈને દસ વર્ષની જેલની સજા તથા રૂપિયા 50 હજારનો દંડ કરવામાં આવશે. આ રીતે ઉત્તરપ્રદેશની સરકારે લવ જેહાદ બાબતે કડકમાં કડક કાયદો બનાવ્યો, તેવો કાયદો ગુજરાતમાં પણ બનવો જોઇએ.

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી સરકારે લવ જેહાદને વટહૂકમ બહાર પાડ્યો છે. જેને લઈને વિવાદ મધપૂડો છેડાયો છે. ત્યારે ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ ઉઠી છે. અગાઉ ભાજપના જ દિગ્ગજ નેતા અને ડભોઈના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. અમે સરકારને રજૂઆત કરીશું. રાજ્યમાં લવ જેહાદના મામલાઓ વધ્યા છે. ઉત્તર પ્રદેશની જેમ રાજ્ય સરકાર પણ કાયદો લાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.