સુરત: શહેરના સીમાડા વિસ્તારમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો છે. દિવાળીબાગ સોસાયટીમાં આ ઘટના બની છે. મામાદેવ કરિયાણા નામની દુકાનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ છે. ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં પતિ, પત્ની, છોકરો અને પડોશી દાઝયા છે. દાઝેલા ચારેય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.. દુકાનની અંદર ગેરકાયદેસર ગેસ રિફ્લિંગનો કારોબાર ચાલતો હોવાની આશંકા છે.


દુકાનમાંથી ઘરેલુ ગેસ વપરાશની 15 બોટલ અને પાંચ બોટલ ઇન્ડસ્ટ્રીયલ તેમજ 11 જેટલી નાની બોટલ મળી આવી છે. આ ઉપરાંત ગેસ રીફ્લિંગ માટે વપરાતી પાઇપ સહિતનો સામાન પણ મળ્યો છે. કરિયાણાની દુકાનમાં ગેસ રિફલીગનો ગેરકાયદેસર ધંધો ચાલતો હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


મોરબી બ્રીજ દુર્ઘટના મામલે લોખંડી સુરક્ષા વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરાયા


Morbi Bridge Tragedy Update: મોરબી બ્રીજ દુર્ઘટના કેસ મામલે આજે જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં હાજર કર્યા હતા. પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવણમાં આવ્યો હતો. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ બ્રિજના રિનોવેશનનું કામ જયસુખ પટેલે કર્યું હતું.


ગુજરાતમાં ચાલતી હજારો મીટની દુકાનો પર લાગશે તાળા


Gandhingar: ગુજરાતમાં ચાલતી ગેરકાયદે મીટ શોપ અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવી મીટ શોપો બંધ કરવા માટે નિર્ણય લેવાયો છે. લાયસન્સ વગરની મીટ શોપ બંધ કરાવવામાં આવશે. આ મીટ શોપ બંધ કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે. સમગ્ર રાજ્યમાં ચાલતી ગેરકાયદે મીટ શોપ બંધ કરાવાશે. સમગ્ર રાજ્યમાં 4 હજાર થી વધુ ગેરકાયદે મીટ શોપ ચાલે છે. અત્યાર સુધીમાં અંદાજે 1387 દુકાનો બંધ કરાવવામાં આવી છે. લાયસન્સવાળી દુકાનોમાં પણ ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં લાયસન્સ વિના ચાલતી 3200 થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર કતલખાના મુદ્દે હાઈકોર્ટે મહત્વનો નિર્દેશ કર્યો છે. લાઈસન્સ વગરની તમામ મીટ શોપ બંધ કરાવવા કોર્ટે નિર્દેશ કર્યો છે. 


રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. જાન્યુઆરી મહિનામાં DLSA (ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી) દ્વારા રાજ્યમાં નગરપાલિકા – મહાનગરપાલિકા વિસ્તારની 4300 થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો.  જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200 થી વધુ  દુકાનો ધ્યાને આવતા દુકાનદારો  વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. 


આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં લાયસન્સ વગરની જણાઈ આવેલી 1247 દુકાનોને સીલ કરવામાં આવી છે. જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓની 813 જ્યારે નગરપાલિકાઓની 434 જેટલી દુકાનોનો સમાવેશ થાય છે.  રાજ્યના કોઇપણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા ન થાય તમામને આરોગ્યપ્રદ આહાર-ભોજન મળી રહે તે દિશામાં સરકાર હંમેશાથી પ્રયત્નશીલ રહી છે. આ સમગ્ર કામગીરી શહેરી વિકાસ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, જી.પી.સી.બી. દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.