Surat  :  મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel )મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે આદિવાસીઓના રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 


તાપી-પાર લિંક યોજના પ્રોજેક્ટ 
તાપી-પાર લિંક યોજના અંતર્ગત નદીઓનું પાણી દરિયામાં વહી જતું રોકવા માટે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પાર અને દમણગંગા નદીને જોડાણ કરવામાં આવનાર હતી અને આ માટે આ નદીઓ પર  7 ડેમ બનાવવામાં આવનાર હતા. આ 7 ડેમમાં ડાંગ જિલ્લાના ચિકાર ડેમ, પાર નદી પર ઝરી ડેમ, અંબિકા નદી પર ચિકારા અને દાબદર ડેમ અને પૂર્ણા નદી પર કેલવણ ડેમ બનાવવામાં આવનાર હતા. આ 7  ડેમ દ્વારા એકત્ર થયેલા પાણીને દરિયામાં વહી જતું રોકીને ઉત્તર ગુજરાતના પાણીની અછત વાળા વિસ્તારોમાં લઇ જવાનો આ સમગ્ર પ્રોજેક્ટ હતો. 


આ 7 ડેમ  માટે જમીન સંપાદન કરવામાં આવનાર હતું, અને વૃક્ષો પણ કાપવામાં આવનાર હતા. જેનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યાં હતા. કોંગ્રેસે આ મુદ્દાને આદિવાસીઓ સાથે જોડ્યો અને આંદોલનો કર્યા. આદિવાસીઓ સરકારનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં હતા. 



કોંગ્રેસે શ્વેતપત્ર જાહેર કરવાની કરી માંગ 
કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે મુખ્યપ્રધાનની આ જાહેરાતને લોલિપોપ ગણાવી છે. તેમણે કહ્યું કે સરકારના પ્રતિનિધિએ કહ્યું હતું કે સ્થગિત કરવામાં આવેલા અને રદ્દ કરવામાં આવેલા પ્રોજેક્ટ ફરીથી લાવવામાં આવી શકે છે. આ કારણે કોંગ્રેસ આ મુદ્દે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે. કોંગ્રેસની માંગ છે કે કેન્દ્ર સરકાર શ્વેતપત્ર જાહેર નહીં કરે ત્યાં સુધી આ યોજનાના વિરોધમાં આંદોલન શરૂ રહેશે.આ સાથે અનંત પટેલે 27 મેં ના રોજ આ યોજનાના વિરોધમાં વાંસદામાં રેલી યોજવાની જાહેરાત કરી છે.