સુરત: સુરત મનપામાં શાનદાર પ્રદર્શન કરતા આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. આ ભવ્ય જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજે સુરતમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. બાદમાં એક જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમને પાંચ વર્ષ આપો, BJPના 25 વર્ષ ભૂલી જશો.




જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માન્યો હતો. તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ માસૂમ બાળકો મોતને ભેટ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપીને તેઓ જાહેર સભાના મંચ ઉપર આવ્યા હતાં. આવતાની સાથે જ તેમણે સીધું પોતાનું સંબોધન શરૂ કરી દીધું હતું. તેમણે આવનાર દિવસોમાં સુરતની અને ગુજરાતની રાજનીતિમાં સ્વચ્છ રાજનીતિ લાવવા માટેની વાત કરી હતી સુરતની જનતાને દિલ્હી માફક જ તમામ સુવિધાઓ આપવાની તેમણે વાત કરી હતી.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે મોટી સંખ્યામાં આપને મત આપ્યા છે. તે રીતે નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મત આપવા અપીલ છે. રવિવારે ઝાડુંને જ મત આપવા અપીલ છે.

કેજરીવાલે મંચ પરથી સુરતમાં ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાની વાત કરી હતી. તેમણે જાહેરમાં મંચ પરથી કોંગ્રેસના કેટલાક સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાઇ જવા માટે આહ્વાન કર્યું હતું, તેમજ ભાજપના સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે અપીલ કરી હતી.