SURAT : સુરત શહેરમાં ચંદ્રઅશોક સોમકરુણા સંસ્થા દ્વારા કરુણા દવા બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દવા બેન્ક દ્વારા જરૂરિયાતમંદોને વિના મૂલ્યે દવા આપવામાં આવશે. આ ઉપરાંત  લોકો દ્વારા ખરીદ્યા બાદ બચેલી દવા ઉઘરાવી જરૂરિયાતમંદોને વિતરિત કરાશે. કરુણા દવા બેંકમાંથી મફત દવા મેળવવા માટે ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન સંસ્થાને રજૂ કરવાનું રહેશે.


સુરતમાં જીવરક્ષા, પર્યાવરણ રક્ષા અને માનવતાલક્ષી કામગીરી કરતી શ્રી ચંદ્રઅશોક સોમ કરુણા સંસ્થા દ્વારા સૌપ્રથમ એક નવી વિચારધારા સાથે કાયદાકીય ધોરણે કરુણા દવા બેંક શરૂ કરવામાં આવી છે. આ દવા બેંકમાં એવી દવા જરૂરિયાત મંદોને આપવામાં આવશે જે દવાઓ લોકો દ્વારા ખરીદવામાં આવી હોઇ અને અમુક દવા વાપર્યા બાદ બચેલી દવા ઉધરાવવામાં આવશે અને તેને દવા બેંકના માધ્યમથી આપવામાં આવશે. આ દવાઓ વિનામુલ્યે આપવામાં આવશે. આ દવા બેંકમાં ખરીદી કર્યા વગર લોકોને દવા આપવામાં આવશે. 


સામાન્ય રીતે આજના આ ફાસ્ટ યુગમાં નાની મોટી કોઈપણ તકલીફ હોઇ તો પણ બજારમાંથી દવાનું આખું પત્તુ લેવામાં આવે છે, જેમાં 10 કે 15 ગોળીઓ હોય છે.  પરંતુ બે-ત્રણ ગોળીઓ ખાઈ બાકીની ઘણા સમયે વેસ્ટ જતી હોય છે. તેમજ ઘણા એવા પરિવારો છે જેને રેગ્યુલર દવાઓ લેવી પડતી હોય છે જેનો ખર્ચ કાઢવો પણ ભારે પડે છે.


આ ધ્યાનમાં લઇ કરુણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થાના ધરણેન્દ્ર સંઘવીને એવો વિચાર આવ્યો કે બંનેનું માધ્યમ બનીએ એના ફળ સ્વરૂપે આજે કરુણા દવા બેંકની શરૂઆત કરી છે. કેટલીક દવા ઘરમાં ધૂળ ખાતી પડી રહેતી હોવાથી બિન ઉપયોગી એટલે કે વેસ્ટ હોય તેને બેસ્ટ બનાવવા એટલે કે ઉપયોગી ઉપયોગમાં લેવા એવી દવાઓનું સોર્ટિંગ  કરી જેમને પણ જરૂરી છે તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ આ બેંકમાંથી સંપૂર્ણતઃ વિનામૂલ્યે મેળવી શકશે.


કરુણા દવા બેંકમાંથી જેમને પણ દવાની જરૂર હોય તેમણે પોતાનું પ્રિસ્ક્રિપ્શન સંસ્થાના વોટ્સએપ નંબર 9328933303 પર  મોકલવાનું રહેશે. જેથી સંસ્થા પાસે જે બ્રાન્ડની સમાન દવા અથવા બીજી બ્રાન્ડની દવા જે ઉપલબ્ધ હશે તે જ દવા સંપૂર્ણ મફત આપવામાં આવશે.