સુરત: ઉદ્યોગપતિ  ધીરુ ગજેરાએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે ધીરુ ગજેરા વિધિવત રીતે ભાજપની સાથે જોડાયા છે. વર્ષ 2007માં તેઓ ભાજપથી વિખુટા પડ્યા હતા અને હવે તેઓ ફરીથી ભાજપની સાથે જોડાઈ ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધીરુ ગજેરાને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે. 


સુરત : સુરતના ઉદ્યોગપતિ ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાયા છે.  ધીરુ ગજેરા જનસંઘ સાથે કોર્પોરેટર તરીકે કેરિયરની શરૂઆત કરી હતી.  ત્યાર બાદ ભાજપમાંથી ત્રણ ટર્મ  ધારાસભ્ય રહયા હતા.  2007 મા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી ફરી ભાજપમાં જોડાયા છે.  


કૉંગ્રેસમાંથી ત્રણ વિધાનસભા અને એક લોકસભા માટે ઉભા રહયા હતા.  2017 વિધાનસભામાં પાટીદાર ફેક્ટરથી વરાછા બેઠક પર ચૂંટણી લડયા હતા.  ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ફરી ભાજપમાં જોડાયા છે.  ઉધના ભાજપ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો.  મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા.


ધીરુભાઈ ગજેરાએ જણાવ્યું કે 2007થી અમારી પનોતી શરૂ થઈ હતી. ભાજપ માટે આ કમનસીબ ઘટના હતી જ્યારે પાર્ટીના બે ભાગ પડ્યા. અમે કુશળ નેતૃત્વ સામે ટકી ન શક્યા. અમે નિષ્ફળતા સ્વીકારીએ છીએ.  ગુજરાતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે સાચી દિશા આપી છે.  ચૂંટણી લડ્યા અને હાર્યા. અમારું મૂળ જનસંઘનું છે જે ભાજપ સિવાય બીજે નહિ ચાલે. મારા અંતિમ શ્વાસ સુધી આ ભાજપનો ખેસ રહેશે.  આવું નેતૃત્વ ક્યારેય નહીં મળે.  2009, 2012 અને 2017માં હાર્યો.  મારા જડ સ્વભાવને કારણે હું હાર્યો છું.  14 વર્ષને 1 મહિનાનો વનવાસ પૂરો થયો અને હું ભાજપમાં પાછો ફર્યો છું.  ગમે તેવો અસંતોષ હોય પાર્ટી છોડતા નહીં. મેં સામેથી ભાજપનો સંપર્ક કર્યો છે. 
હું મારા ઘરે પાછો ફર્યો છું. પાર્ટી માટે કામ કરીશ. અંતિમ શ્વાસ સુધી ભાજપમાં રહીશ. દૂધમાં સાકર ભળે એ રીતે હું ભળી જવા માંગુ છું. મને રાષ્ટ્રહિતમાં જ્યાં કામ કરવાનું કહેશે ત્યાં હું કામ કરવા તૈયાર છું.