સુરતના ચકચારી દિશીત જરીવાલા મર્ડર કેસમાં સ્થાનિક કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં મૃતકની પત્ની વેલ્સી, ડ્રાઈવર સહિત કુલ ત્રણ આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો હતો. પોલીસને આંચકો આપતાં સુરતની કોર્ટે ત્રણેય આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂક્યા હતા. આ કેસમાં મોટાભાગના સાક્ષીઓ પણ કોર્ટમાં ફરી ગયા હતા તેવું જાણવા મળ્યું હતું. આ ઘટના સર્જાઈ ત્યારે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બની હતી.

મૃતક દિશીત જરીવાલાની પત્ની વેલ્સી, વેલ્સીનો કથિત પ્રેમી સુકેતુ ઉર્ફે સની મોદી અને સુકેતુનો ડ્રાઈવર ધીરેન્દ્ર ચૌહાણ આ મર્ડર કેસમાં નિર્દોષ છૂટી ગયા છે. સરકારી વકીલ ભદ્રેશ દલાલે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરી શક્યા નહીં. કેસમાં કોઈ સંગીન પુરાવા પણ મળ્યાં નહીં.

આ કેસમાં સાક્ષી તરીકે પોલીસ અને પોસ્ટમાર્ટમ કરનારા ડોક્ટર જ પોતાની જુબાની પર અડગ રહ્યા હતા. તેમના સિવાયના મોટાભાગના તમામ સાક્ષી કોર્ટમાં પોતાની જુબાની પરથી ફરી ગયા હતા જેના કારણે કેસ નબળો પડ્યો હતો. કોર્ટમાં 73 આરોપીઓને તપાસવામાં આવ્યા હતા પરંતુ હત્યાને નજરે જોનારો કોઈ સાક્ષી તેમાં ન હતાં. સુકેતુ અને ધીરેન્દ્રને દિશીતના ઘરે લાવનારો રિક્ષાચાલક કેસનો મુખ્ય સાક્ષી હતો તે પણ કોર્ટમાં ફરી ગયો હતો.

બચાવ પક્ષના વકીલ કીરિટ પાનવાલાનાએ જણાવ્યું હતું કે, દિશીત જરીવાલાની હત્યા લૂંટ માટે થઈ નહોતી તેવું પણ પોલીસ કોર્ટમાં સાબિત કરી શકી નથી. તેમણે કહ્યું હતું કે, પોલીસે રજૂ કરેલી થિયરી તેમજ સુકેતુ અને ધીરેન્દ્ર દિશીતના ઘર તરફ આવતાં હોય તેવા સીસીટીવી પણ આરોપ સાબિત ન કરી શક્યા. આ ઉપરાંત ગુનો ક્યા હેતુથી કરવામાં આવ્યો હતો તે પણ કોર્ટમાં સાબિત ન થયું.