સુરતઃ  રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સુરતમાંથી નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર ડૉ. એચ.જી કોશીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર દેવાંગ શાહને દર્દીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન આપતા સમયે શંકા ગઇ હતી. જેથી તેમણે ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં અધિકારીઓએ દર્દીના સગા ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે તેઓ સાબરમતીમાં આવેલી મા ફાર્મસીના આશિષ શાહ પાસેથી 1.35 લાખ રૂપિયામાં બિલ વગર ઇન્જેક્શન લીધું હતું. તપાસનાં અંતે સુરતના સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડા પાડતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સોહેલ ઇસ્માઇલ, નિલેશ લાલીવાલા, અક્ષય શાહ, હર્ષ ઠાકોર અને આશિષ શાહનો સમાવેશ થાય છે.

રાજયના ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ હતું કે, સુરતમાં રહેતા શોહેલ ઈસ્માઈલ તાઈ નામના વ્યક્તિના ઘર પર દરોડો પાડી ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે ઈન્જેક્શન બનાવવાના કાચા દ્રવ્યો, પેકિંગ મટિરિટલ, ફિલિંગ અને શિલિંગ મશીન સહીતની 8 લાખની મિનિ મશીનરી જપ્ત કરી હતી. શોહેલ નામનો આ શખ્સ હર્ષ ઠાકોર અને નિલેષ લાલીવાડાને સાથે રાખીને કૌભાંડ આચરતો હોવાનો પણ ખુલાસો થયો હતો.

તંત્રએ મા ફાર્મસીમાં તપાસ કરતા ત્યાંથી દવાનો કોઇ જથ્થો મળી આવ્યો નહોતો.  પરંતુ તેઓ આ ઇન્‍જેક્શન હર્ષ ભરતભાઇ ઠાકોર, ચાંદખેડા, અમદાવાદ પાસેથી વગર બીલે રોકડેથી રૂ. ૮૦,૦૦૦/- માં ૪ બોક્ષ ખરીદ્યા હતા જે પૈકી ૩ બોક્ષ મા ફાર્મસીને આપેલ અને ૧ બોક્ષ પાછળથી ખબર પડતા નાશ કર્યા હતા અને તંત્ર દ્વારા હર્ષ ભરતભાઇ ઠાકોરની પુછપરછ કરતાં તેઓ આ ઇન્જેક્શન પાલડીમાં હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસ ધરાવતા નિલેશ લાલીવાલા પાસેથી વગર બીલે રૂ.૭૦,૦૦૦/- માં ૪ બોક્ષની રોકડેથી ખરીદી કરી હતી.

રાજયના ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યુ હતું કે, હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક નિલેશ લાલીવાલાની પુછતાછ કરતાં તેઓના કબજા માંથી “NANDROLONE DECANOATE 250 MG /MLના ૨ બોક્સ મળી આવેલ. જે બનાવટી ટોસીલીઝુમેબ ઇન્જેક્શનના કાર્ટનની ડિઝાઇન સાથે મળતા આવે છે. જેને ફોટોશોપમાંથી એડીટ કરી તેના ઉપર બનાવટી ટોસીલીઝુમેબ ઇન્જેક્શનનુ નામ લખી હર્ષ ભરતભાઇ ઠાકોર દ્વારા લેબલની ડીઝાઇનમાં ચેડા કરવાનું પ્રાથમીક રીતે જણાઈ આવ્યુ છે.વધુમાં નિલેશ લાલીવાલાની પુછપરછ કરતાં તેઓ આ બનાવટી ઇન્‍જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામની વ્યક્તિ પાસેથી મંગાવતો હતા.શોહેલ ઈસ્માઈલ નંદ રોલોન ડેસીનોટીનું પણ બનાવટી ઉત્પાદન કરતો હતો.

અધિકારીઓએ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ વિગેરે મળી આવ્યું હતું. તેમણે કહ્યુ કે, આ સમગ્ર તપાસમાં સંડોવાયેલ સોહેલ ઇસ્માઇલ તાઇએ બનાવટી “NANDROLONE DECANOATE 250 MG /ML Mfg. Genic Pharmaના નામનો ઉપયોગ કરી ઉત્પાદન કરી Genic Pharma ના નામના ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ૨૫૦ એમ.જી. / એમ.એલ. (એક્ટેમરા)ના બનાવટી લેબલ બનાવી હર્ષ ઠાકોર તથા નિલેશ લાલીવાલા સાથે રહીને કોભાંડ કરતા હોવાનું પકડાયુ છે.

કોશિયાએ કહ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં પણ નાગરિકોને ગુણવત્તાયુકત દવાઓ મળી રહે એ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.કોરોના સામે રક્ષણ આપતુ ટોસીલીઝૂમેબ ઈન્જેકશનનુ સુરતથી નકલી વેચાણનુ રાજય વ્યાપી કૌભાંડ ઔષધ નિયમન તંત્ર દ્વારા પકડી પાડવામાં આવ્યુ છે. જરૂરિયાત ધરાવતા દર્દીઓને આ ટોસીલીઝૂમેબ ઈન્જેકશનનો જથ્થો સરળતાથી મળી રહે એ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સતત મોનીટરીગ કરવામા આવી રહ્યુ છે અને દર્દીઓને આ ઈન્જેકશન રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરા પાડવામાં આવી રહ્યા છે.