સુરત: સુરતમાં સરથાણા વિસ્તારના ટ્યુશન ક્લાસીસમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 21નાં મોત નિપજ્યાં છે. આ ઘટનાથી માત્ર સુરત અને ગુજરાત નહીં પણ આખો દેશ સ્તબ્ધ છે. 20 બાળકોનાં મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.

આ સમયે મૃતક બાળકોના પરિવારજનોની સાથે સુરતના અનેક લોકો પણ સામેલ થયા હતાં. સામાન્ય લોકોની આંખમાં પણ આસુંની સાથે રોષ પણ જોવા મળ્યો હતો.

24 મેના રોજ બનેલા અગ્નિકાંડને પગલે સમગ્ર સુરત સહિત આખો દેશ હચમચી ઉઠ્યો હતો. આ અગ્નિકાંડના 21 મૃતક બાળકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ત્યારે આજે 21માંથી 20 બાળકોની એક સાથે અર્થી ઉઠતાં આખું સુરત હિબકે ચડ્યું હતું અને કોણ કોને છાના રાખે એવી સ્થિતિ ઉભી થઈ હતી.

સ્મશાન યાત્રા દરમિયાન સન્નાટો છવાઈ ગયો હતો. સૌ કોઈના ચહેરા ગમગીન જોવા મળી હતી. આ ઘટનાનો આઘાત કઠણ કાળજાના માનવીને પણ પીગળાવી દે એવો છે.