અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસો સૌથી વધુ હતા. પરંતુ ગઈ કાલે અમદાવાદને પાછળ છોડીને સુરત આગળ નીકળી ગયું છે. ગુજરાતમાં ગઈ કાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના 183 કેસ નોંધાયા હતા. તેમજ સુરત જિલ્લાના 199 કેસ છે, જે પણ જિલ્લા પ્રમાણે સૌથી વધુ છે. ગઈ કાલે ગુજરાતમાં કોરોનાના 620 કેસ નોંધાયા હતા.


જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 182 કેસ નોંધાયા છે, જ્યારે જિલ્લામાં 197 કેસ નોંધાયા છે. એક તરફ અમદાવાદ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે, બીજી તરફ સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. તેમજ વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સુરતમાં 7 દિવસ સુધી ધામા નાંખ્યા છે.

જયંતિ રવિ આજે સવારે 10.30 કલાકે નવી સિવિલ હોસ્પિટલમાં બેઠક કરશે. અહીં બેઠકમાં કોરોનાને લઈ સમીક્ષા કરાશે, તેમજ બેડ વધારવા કાર્યવાહી કરશે. ત્યારબાદ 12 કલાકે રેડ ઝોન કતારગામ વિસ્તારની મુલાકાત લેશે. સુરતમાં સોથી વધુ કોરોના પોઝિટિવ કતારગામ ઝોનમાં નોંધાયા છે. 5.30 કલાકે સુરત મહાનગર પાલિકામાં અધિકારીઓ સાથે મીટીંગ કરશે.