Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે.  નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે. જિલ્લામાં બીટીપીને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. બીટીપીના કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવાએ પોતાનું રાજીનામુ સોશિયલ મીડિયા થકી આપી દીધું છે. 


વિધાનસભાની  ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકોએ રાજીનામાં આપ્યા છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને બીટીપીના આઈટીસેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા, પણ મહેશભાઈ વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય સમય ન આપતા હતા. 3 કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા.


કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા સહિત તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ ને મળવા માટે પહોંચ્યા છે. નોંધનીય છે કે, બીટીપી પાર્ટીના ગુજરાતમાં બે ધારાસભ્યો છે. અગાઉ તેમણે આપ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, પછી બીટીપીએ તમામ સીટી પરથી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો પણ ચાલી હતી. જોકે, હવે બીટીપી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. 


Rajkot News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજી જાહેર નથી થઈ ત્યાં જ દિગ્ગજ રાજકીય નેતાઓના આંટાફેરાથી રાજ્યમાં ચૂંટણી માહોલ ઉભો થયો છે. આ દરમિયાન અનાર પટેલ કાગવડ ખોડલધામમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન બાદ તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે ચર્ચા કરી હતી.

અનાર પટેલ ગુજરતાના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલની દીકરી છે. અનાર પટેલ અચાનક ખોડલધામ દર્શને આવતા અને નરેશ પટેલ સાથે બેઠક કરતાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે. જોકે તેમણે માત્ર દર્શન માટે આવ્યા હોવાનું અને કોઈ જ રાજકીય ચર્ચાઓ ન થઈ હોવાનું કહ્યું હતું.


 


Gujarat ABP C-Voter Survey: ગુજરાતમાં આવનારા થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તે પહેલા સી-વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. આ હિસાબે, સત્તાધારી ભાજપ ગુજરાતમાં 1995 પછી રેકોર્ડ 7મી વખત ચૂંટણી જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપને 135 થી 143 સીટો વચ્ચે જીત મળવાની ધારણા છે. જે 2017ની કુલ 99 બેઠકો કરતાં ઘણી વધારે છે. ઓપિનિયન પોલ અનુસાર ભાજપ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને સત્તામાં વાપસી કરી શકે છે.


આ સર્વે રાજ્યની તમામ વિધાનસભા સીટો પર કરવામાં આવ્યો છે. આ સર્વેમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે. આ સર્વે દરમિયાન ગુજરાતની 182 બેઠકો માટે 37,528 લોકો સાથે વાત કરવામાં આવી હતી. ઓપિનિયન પોલમાં ભાજપને 47 ટકા વોટ શેર મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસને 32 ટકા અને આમ આદમી પાર્ટીને 17 ટકા વોટ શેર મળી રહ્યા છે.


સર્વે મુજબ ગુજરાતની જનતા ઉપર મોદીનો જાદુ બોલી રહ્યો છે, પરંતુ ગુજરાતની જ્ઞાતિઓનો ચૂંટણી મૂડ કેવો છે? શું કહે છે ગુજરાતના પાટીદાર મતદારો? આ પ્રશ્નોના ચોંકાવનારા પરિણામો મળ્યા છે. પાટીદાર મતદારોનું વલણ પણ ભાજપ તરફ જોવા મળી રહ્યું છે.


લેઉઆ પટેલ મતદાર કોની સાથે? (સોર્સઃ સી-વોટર)


ભાજપ-51%
કોંગ્રેસ-30%
આપ -15%
અન્ય - 4%


કડવા પટેલ મતદાર કોની સાથે છે? (સોર્સઃ સી-વોટર)


ભાજપ-49%
કોંગ્રેસ-34%
આપ-14%
અન્ય - 3%


નોંધ- એબીપી ન્યૂઝ માટે આ ઓપિનિયન પોલ સી-વોટર દ્વારા કરવામાં આવ્યો છે. આજના ઓપિનિયન પોલમાં તમામ જ્ઞાતિના લોકો પાસેથી તેમનો અભિપ્રાય જાણવામાં આવ્યો છે. આ સર્વેમાં માર્જિન અને ભૂલ પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા સુધીની છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથે કરવામાં આવેલી વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાયો પર આધારિત છે. આ માટે એબીપી ન્યૂઝ જવાબદાર નથી.