સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના(Gujarat Corona)એ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં કોરોના સામે હથિયાર ગણાતી કોરોનાની વેક્સિન (Corona vaccination) ઝડપથી લોકોને આપવામાં આવી રહી છે. જોકે, આજે સુરત (Surat)માં કોરોનાની વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં આજે શહેરના તમામ વેક્સિનેશન સેન્ટર(Corona vaccination center) બંધ રાખવામાં આવશે. આ અંગે લોકોને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. 


જોકે, તારીખ 8/4/21 ના રોજ તમામ સેંટર ચાલુ રહેશે. વેક્સિન નો જથ્થો ખૂટી પડતા સુરતમાં આજે વેક્સિનેશન નહીં થાય. સુરતમાં માત્ર 10 હજાર વેકસીનનો સ્ટોક ઉપલબ્ધ છે. રોજ 30 થી 35 હજાર વેક્સિનેશન કરવામાં આવે છે.


સુરતમાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવતા ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરત દોડી ગયા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમજ કોરોનાની સ્થિતિ મુદ્દે તાગ મેળવ્યો હતો. તેમજ પત્રકાર પરીષદ યોજીને લેવાયેલા પગલા મુદ્દે જાણ કરાઈ હતી. આ સમયે રૂપાણીએ હવે આપણી પાસે વેક્સિન અને માસ્ક બે હથિયાર હોવાની વાત કરી હતી. તેમજ હવે વેક્સિનેશનમાં ઝડપ લાવવાની વાત પણ કરી હતી. 


. અધિકારીઓ સાથેની બેઠકમાં સુરતની સમીક્ષા કર્યા પછી પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. 


 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વધ્યો છે . ૪ મનપા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. બીજા જીલ્લામાં પણ પરિસ્થિતિ બગડી રહી છે. એક વર્ષથી આપણે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છીએ. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, હજી પણ કેસ વધશે તેવું લાગે છે. જોકે, તેમણે કહ્યું હતું કે, તેનાથી ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવાની જરૂર છે. દરરોજ ૪ લાખથી વધુ લોકોનું રસી કરણ થઈ રહ્યું છે.  ૭૦ લાખને રસી આપવામાં આવી છે અને હજી રસીકરણ ઝડપી કરીશું.


 


તેમણે રસી બધા લગાવે તેવી લોકોને અપીલ છે. સાથે સાથે માસ્ક પણ લોકો ફરજિયાત પહેરે, જે લોકો માસ્ક સરખુ પહેરે તેવા બે ટકા લોકો જ સંક્રમિત થાય છે. માસ્ક સરખુ ન પહેરનાર વધુ સંક્રમિત થઈ રહ્યા છે. દૈનિક ૧.૨૦ લાખ લોકોનું ટેસ્ટિંગ આપણે કરી રહ્યા છીએ. ૧૦૪ની સેવા ઝડપી કરી રહ્યા છીએ . સંજીવની રથ પણ આપણે વધારી રહ્યા છીએ.