Surat: યુવાનોમાં હાર્ટ એટેકેના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરતના સચિન ખાતેના સુડા સેક્ટરમાં રાત્રે સુતેલા યુવકનું હાર્ટ એટેકના કારણે ઊંઘમાં મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક યુવકનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકની શક્યતા વ્યક્ત કરાઈ છે.


મૂળ બિહારના મધુવનીનો વતની વિજય શર્મા (ઉ.વ.25) હમવતની સાથે સચિન ખાતેના સુડા સેક્ટર રહેતો હતો અને મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારને મદદરૂપ થતો હતો. બુધવારે રાત્રે રૂમમાં સુતેલો વિજય ગુરુવારે સવારે ઊંઘમાંથી ઉઠ્યો જ નહોતો. જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે કરેલી તપાસ દરમ્યાન વિજય મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ મૃતહેદ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. મૃતકની સંબંધીએ પણ હાર્ટએકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.


મૃતકને બે ભાઈઓ પણ છે અને માતા-પિતા વતન ખાતે ખેતી કામ કરે છે. પોસ્ટ મોર્ટમ કરનારા તબીબે હાર્ટએટેકની શક્યતા વ્યક્ત કરી હતી. જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.


સુરતમાં હાર્ટ એટેકથી 28 વર્ષીય યુવકનું મોત


સુરતના હજીરામાં 28 વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોત થયું હતું. 28 વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં અચાનક તબિયત લથડતા મિત્રોને ફોન કર્યો હતો. જે બાદ મિત્રો સ્થળે દોડી આવ્યા અને 108ને જાણ કરાઈ હતી. તો 108ના કર્મચારીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું કારણ સ્પષ્ટ થશે.


માર્ચ મહિનામાં યોગ દરમિયાન થયું હતું એકનું મોત


સુરતના કિરણ ચોક વિસ્તારમાં માર્ચ મહિનામાં વહેલી સવારે યોગા કરતી વખતે 44 વર્ષીય પુરુષ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પુરુષનું યોગા દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામા 44 વર્ષીય મુકેશભાઈ પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા. જેથી તાત્કાલિક તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સુરતમાં છેલ્લા થોડા દિવસમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 લોકોના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ યુવાનોના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. 44 વર્ષીય મુકેશભાઈ મેંદપરાનું મોત થયું હતું.મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.