Surat CORONA: કોરોનાની રીએન્ટ્રીએ ફરી એકવાર ચિંતા જગાડી છે. કોરોના કેસ સતત વઘી રહયાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 118 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 508 અને 490 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. સુરતમાં પણ કોરોનાએ માથું ઉચક્યું છે. અહીં વધુ સાત કેસ નોંધાતા ચિંતા વધી છે. સુરત પાલના ડોક્ટર સંક્રમિત થયા છે. મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત સાતના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.બે દર્દીઓ હોસ્પિટલમાં, પાંચ હોમ આઈસોલેશન કરાયા છે. સુરત શહેરમાં અત્યાર સુધી 35 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 508 એક્ટિવ કેસ છે જે પૈકી 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  જ્યારે 490 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે સ્વસ્થ થયેલા 72 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તે સિવાય અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે. બુધવારે શહેરમાં કોરોનાના વધુ 71 કેસ નોંધાયા હતા. જ્યારે 20 વર્ષીય સગર્ભા યુવતીનું મોત થયું હતું. અત્યાર સુધી શહેરમાં કોરોનાથી 3 મહિલાના મોત થયા છે. છેલ્લા એક મહિનામાં શહેરમાં 401 કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 281 એક્ટિવ કેસ છે. જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે. સૌથી વધારે એક્ટિવ કેસ પશ્ચિમના વિસ્તારોમાં છે. મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં કુલ 47 એક્ટિવ કેસ છે. તેની સામે તેના કરતા બમણા એક્ટિવ કેસ માત્ર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ઓછામાં ઓછા 276 કોવિડ-19 કેસ નોંધાયા છે, જેનાથી એક્ટિવ કોવિડ-19 કેસની કુલ સંખ્યા 4,302 થઈ ગઈ છે, જેમાં કેરળમાં સૌથી વધુ 1,373 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 510, ગુજરાતમાં 461 અને પશ્ચિમ બંગાળમાં 432 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14 મોત

રાષ્ટ્રીય રાજધાનીમાં ઓછામાં ઓછા 457 કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 44 કોવિડ-સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 14 મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા સાત મૃત્યુ નોંધાયા છે, જેમાંથી ચાર મહારાષ્ટ્રમાં છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત અને દિલ્હીમાં પણ કોવિડ-સંબંધિત એક-એક મૃત્યુ નોંધાયુ છે.