સુરતઃ સુરત શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ચોંકી ઉઠેલી વિજય રૂપાણી સરકારે તાકીદનાં પગલાં ભરવા માંડ્યાં છે. સુરત માટે ખાસ પ્લાન બનાવવા રાજ્યના આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ જયંતિ રવિને તાબતડોબ સુરત મોકલાયાં છે. જ્યંતિ રવિ 7 દિવસ સુધી સુરતમાં ધામા નાંખશે અને સુરતને કોરોનામુક્ત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અન્ય વિભાગે સાથે મળીને વ્યૂહરચના તૈયાર કરશે. સુરતમાં એક જ મહિનામાં 3116 કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે.


આ વ્યૂહરચનાના ભારૂપે મંગળવારે સવારે 10.30 કલાકે નવી સીવીલ હોસ્પિટલમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના સામેની લડતની કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત બેડ વધારવા કાર્યવાહી કરવામાં આવી છે.



જ્યંતિ રવિ બપોરે 12 કલાકે રેડ ઝોન કતારગામ વિસ્તારની મુલાકાત લીધી હતી. સુરતમાં સોથી વધુ કોરોના પોઝિટિવ કતારગામ ઝોનમાં નોંધાયા છે. એ પછી સાંજે 5.30 કલાકે સુરત મહાનગર પાલિકામાં અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.

જ્યંતિ રવિએ મંગળવારથી જ સુરતમાં ધામા નાંખ્યા છે. મંગળવારે સુરત સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલ મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં સુરત કલેકટર, DDO અને પાલિકા કમિશ્નર હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોરોના સંક્રમણ અંગે સમીક્ષા કરાઈ હતી અને એ પછી જ્યંતિ રવિએ પત્રકારોને સંબોધીને લેવાનારાં પગલાં અંગે માહિતી આપી હતી.