સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ અઠવાડિયા માટે સુરતમાં ધામા નાંખ્યા છે. ગઈ કાલે તેમણે પત્રકાર પરિષદમાં સુરતમાં વધી રહેલા કેસો અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં પોઝિટિવ મળશે ત્યાં પાનની દુકાન બંધ કરવામાં આવશે.


નોંધનીય છે કે, સુરતમાં છેલ્લા દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે સુરત જિલ્લામાં 239 નવા કેસ નોંધાયા હતા. અગાઉ ગુજરાતમાં સરકાર પાન-મસાલાની દુકાનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, અનલોકમાં પાનના ગલ્લા ખોલવાની છૂટ આપવામાં આવી છે.

હવે સુરતમાં સંક્રમણ વધતાં ફરીથી અહીં પાનની દુકાનો બંધ થાય તેવી શક્યતાઓ છે. જાહેરમાં થુંકવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય હોવાથી સરકાર દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.