સુરતઃ જાણીતા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાને કોરોના થયો હોવાનો અને તેમની તબિયત ખરાબ હોવાના સમાચાર વચ્ચે તેમના ભાઈ ભાર્ગવભાઈએ હવે તેમની તબિયત સારી હોવાના સમાચાર આપ્યા છે.


જીજ્ઞેશ દાદાને કોરોના કઈ રીતે થયો તે અંગે અટકળો ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં તેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાવરકુંડલાથી તેમને સુરત ખસેડવામાં આવ્યાં હતાં.

જો કે જીજ્ઞેશ દાદાનો રેપિડ ટેસ્ટ નોર્મલ આવ્યો હતો પણ તેમને તાવ આવતો હોવાથી સીટી સ્કેન કરાવાયું હતું. સીટી સ્કેનમાં કોરોના હોવાનું સામે આવતાં સુરત લવાયા અને વરાછાની હીરાબાગમાં આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જીજ્ઞેશ દાદાની તબિયત નાદુરસ્ત થયા બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. કથાકારો અને બ્રાહ્મણો દ્વારા સાવકુંડલા અને સુરતમાં મહામૃત્યુંજયના જાપ પણ કરવામાં આવ્યાં છે.

‘કોણ જાણી શકે કાળને રે અચાનક શું થશે ‘ ગીતથી જાણીતા થયેલા ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાનો તબિયત ઘણી સારી હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યાં છે. ઓક્સિજન માસ્ક સાથેનો તેમનો હોસ્પિટલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે પણ આ વીડિયો ત્રણ દિવસ જૂનો છે એવી માહિતી તેમણે આપી છે.