સુરત: શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મહંત રાકેશ મહારાજના નિધનને લઈને ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે.


જામનગરમાં બે વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ


જામનગર: તાલુકાના તમાચણ ગામે એક બાળકી બોરવેલમાં ફસાઈ છે. બે વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હોવાની માહિતી સામે આવી છે. હાલમાં જામનગર ફાયર વિભાગની ટીમ સ્થળ પર જવા રવાના થઈ છે. ૨૦ થી ૩૦ ફૂટે બાળકી ફસાઈ હોવાની માહીતી મળી રહી છે. વાડીમાં મજુરી કરતા પરિવારની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી છે. હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.


અમદાવાદના યુવકની વડોદરાની હોટલમાંથી મળી આવી લાશ


વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં લાશ મળી આવી છે. અલંકાર ટાવર સ્થિત અલંકાર હોટલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હોટેલના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ મારતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો. હોટલના રૂમમાં તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને હોટલનો સ્ટાફ ચોંકી ગયો હતો.


યુવકના મૃતદેહ પાસે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. ચાર પેજની સ્યુસાઈડ નોટ મળી આવી છે. સામે આવેલી વિગતો અનુસાર  યુવક તારીખ 31 મેના રોજ હોટેલમાં રોકાયો હતો. મૃતદેહ ડી કંપોસ્ટ હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની જાણ કરવામાં આવતા સયાજીગંજ પોલીસ ઘટને સ્થળે દોડી આવી હતી.
પોલીસે મૃતદેહ કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. 


તો બીજી તરફ મૃતક યુવકનું નામ પાર્થ પ્રવીણભાઈ ઘડિયા હોવાનું બહાર આવ્યું છે અને તે અમદાવાદના નિકોલનો રહેવાસી છે. નિકોલ પોલીસ મથકે પાર્થના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોબના ડીપ્રેશનના કારણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. નોકરી છૂટી જવાના કારણે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. યુવકના મોતને પગલે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી યુવકે  આત્મહત્યા કરી હતી. હોટેલના રૂમમાંથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે.