ભરુચઃ ગુજરાતમાં ગઈ કાલે તાપી જિલ્લો કોરોનામુક્ત થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે, કોરોનામુક્ત થયેલા ભરુચ જિલ્લામાં ફરીથી કોરોનાની એન્ટ્રી થતાં તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું છે. બે દિવસ કોરોના ફ્રી રહ્યા બાદ ભરૂચમાં ફરી પોઝિટિવ કેસ નોંધાયો છે. સુરતથી જબુંસરના છિદ્રા ગામમાં આવેલા 18 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેને કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડાશે.


નોંધનીય છે કે, ગુજરાતમાં અમરેલી સહિત 6 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નથી. અમરેલીમાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી.



આ સિવાય છોટાઉદેપુર, કચ્છ, ગીર સોમનાથ, ડાંગ અને વલસાડ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 13 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હવે ફક્ત 1 વ્યક્તિ જ સારવાર હેઠળ છે. આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.

અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં તમામ 3 લોકો રિકવર થતાં એક પણ કેસ એક્ટિવ નહોતો, પરંતુ ફરીથી બે દિવસ પહેલા એક કેસ સામે આવ્યો છે. જોકે, આ વ્યક્તિ ક્વોરેન્ટાઇનમાં હોય ચેપ ફેલાવાની શક્યતા લગભગ નથી. ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.

વલસાડમાં કોરોનાના છ કેસો નોંધાયા છે, જેમાંથી 4 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે હવે એક જ એક્ટિવ કેસ રહ્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લામાં માત્ર એક કેસ એક્ટિવ છે. તેમજ નવો કોઈ કેસ આવ્યો નથી. ત્યારે આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.