તાપીઃ ગુજરાતમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. તાપી જિલ્લાએ કોરોનાને મ્હાત આપી છે. વાલોડ તાલુકાના કલમકુઈ ગામના પોઝિટિવ યુવકનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. દર્દી સુરતની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. આ સાથે ગુજરાતમાં 6 જિલ્લા કોરોનામુક્ત થયા છે. તાપી ઉપરાંત અમરેલી, નર્મદા, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી.


આ સિવાય છોટાઉદેપુર, કચ્છ, ગીર સોમનાથ, ડાંગ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે, આ ચાર જિલ્લાઓમાં માત્ર એક-એક કેસ જ એક્ટિવ છે. છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 13 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હવે ફક્ત 1 વ્યક્તિ જ સારવાર હેઠળ છે.



આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે. અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં તમામ 3 લોકો રિકવર થતાં એક પણ કેસ એક્ટિવ નહોતો, પરંતુ ફરીથી બે દિવસ પહેલા એક કેસ સામે આવ્યો છે. જોકે, આ વ્યક્તિ ક્વોરેન્ટાઇનમાં હોય ચેપ ફેલાવાની શક્યતા લગભગ નથી. ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.