સુરત: ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૨માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું છે. સુરતના યુવકનું હ્રદય સુરેન્દ્રનગરના મુસ્લિમ યુવકમાં ધબકતું થયું છે. અર્જુન રાકેશભાઈ રાઠોડ નામના ૧૯ યુવકના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બ્રેઈનડેડ અર્જુનના હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતની કિરણ હોસ્પીટલથી અમદાવાદની સિમ્સ હોસ્પીટલનું ૨૭૩ કિ.મી નું અંતર ૯૦ મીનીટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી ૨૨ વર્ષીય મુસ્લિમ યુવકમાં કરવામાં આવ્યું હતું. હ્રદય સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી કિરણ હોસ્પીટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.


મગજની નસ ફાટી ગઇ હતી


સુરત મુકામે રહેતો અર્જુન સાયન રોડ શેખપુરમાં આવેલ ટેક્ષટાઈલ યુનિટમાં કામ કરતો હતો.  ૮ નવેમ્બરના રોજ અર્જુન તેના મિત્ર સાથે બાઈક પર કઠોર પોતાના ઘરે આવી રહ્યો હતો ત્યારે રાત્રે ૯:૩૦ કલાકે કઠોર ગામ કન્યા છાત્રાલયની સામે અજાણ્યા વાહન ચાલક સાથે અકસ્માત થતા તે નીચે પડી ગયો હતો અને માથામાં ગંભીર ઈજા થવાથી તે બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં ગંભીર ઈજાઓ હોવાને કારણે મગજની નસ ફાટી ગઇ હોવાનું નિદાન થયું હતું.


ત્યા બાદ ૧૦ નવેમ્બરના રોજ ડોક્ટોરોએ તેને બ્રેનડેડ જાહેર કર્યો. કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી અર્જુનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી અર્જુનના માતા પુષ્પાબેન, ભાઈ કરણ, કાકા મનોજભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.


અર્જુનના માતા પુષ્પાબેન અને તેના ભાઈ કરણે જણાવ્યું કે અર્જુન બ્રેઈનડેડ છે, તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુજીવન મળતું હોય તો અમે અંગદાન કરવા તૈયાર છીએ તેમ જણાવ્યું હતું. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરવામાં આવ્યો.  SOTTO દ્વારા હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પીટલને, કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.


 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો


દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી ૨૨ વર્ષીય મુસ્લિમ યુવકમાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમા ડો. ધીરેન શાહ, ડો.ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૦ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૬ વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી ૬૪ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. હ્રદયને ચાર્ટર્ડ વિમાન મારફત અમદાવાદ પહોંચાડવા માટે સુરતની કિરણ હોસ્પિટલથી એરપોર્ટ સુધીના માર્ગને સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. 


તમને જણાવી દઈએ કે, અર્જુનના પિતાનું એપ્રિલ ૨૦૨૧માં કરંટ લાગવાને કારણે દુઃખદ અવસાન થયું હતું. તેના પરિવારમાં માતા પુષ્પાબેન જેઓ પી.પી.સવાણી સ્કુલમાં સફાઈનું કામ કરે છે, ભાઈ કરણ (૨૨ વર્ષ) સાયન રોડ શેખપુરમા આવેલ ટેક્ષટાઈલ યુનિટમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. અને બીજો ભાઈ સુનિલ કઠોરમાં આવેલ વંદે ગલીયારી હાઇસ્કુલમા ધોરણ ૧૦ મા અભ્યાસ કરે છે.